@પ્રફુલ્લ ત્રિવેદી, એસો એડિટર
Ahmedabad News:અમદાવાદમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામો પૂર્વઝોન હેઠળના વિસ્તારોમાં ધમધમે છે. અનેક બાંધકામો એવા છે, જેમાં પ્લાન પાસ થયા બાદ બિલ્ડરો મનફાવે તેવા સુધારા કરી નાખે છે. બીયુ પરમીશન વખતે પર્કોલેટિંગવેલ કે વૃક્ષો રોપવાની જીડીસીઆરની જોગવાઈ સામે આંખ આડા કાન કરાય છે.બિલ્ડરે આપેલી ગ્રીન-નોટોના પાટા આંખે બંધાઈ ગયેલા હોય છે. બિલ્ડર તેમની સાઈટ પર ઘોર બેદરકારી રાખે અને કોઈ મજૂર 11માં માળેથી પડે અને તેનું ગમગીનીભર્યું મોત નીપજે તો પણ ઝોનના ટીડીઓ ખાતાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. બિલ્ડરે સેફટીની વ્યવસ્થા કરવી જોઈએ તેવો દાખલો બેસાડવા નથી તો રજાચિઠ્ઠી રદ કરવાનું સૂઝતું કે નથી તો તેમને પોલીસ ફરિયાદનો હિસ્સો બનાવનું સૂઝતું.
નિકોલમાં શ્રી ખોડીયાર બિલ્ડર્સ દ્વારા બંધાઈ રહેલી એટલાન્ટીસ નામની 14 માળની સ્કીમના 11માં માળેથી પટકાતા લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર નામના 24 વર્ષના મજૂરનું ગમગીનભર્યું મોત નીપજ્યું હતું. તેના પત્ની પણ ત્યાં જ હાજર હતા, તેમના મન પર શું વીતી હશે તે તો કલ્પના જ કરવી રહી. પણ આવી બધી લાગણીની વાતો હપ્તાખાઉ અધિકારીઓના હ્રદયને સ્પર્શતી હોતી નથી. પૂર્વઝોનના ડે કમિશનર કે ડે. ટીડીઓ વિનય ગુપ્તાએ આ બાબતે કોઈ પગલા લીધા છે કે નહીં તે બહાર આવ્યું નથી. ખરેખર તો આવી ગંભીર બેદરકારી સબબ એક વખત તો રજાચિઠ્ઠી જ રદ કરવી જોઈએ. જેથી બિલ્ડરો સજાગ થાય, આ માટે કમિશનર એમ. થેન્નારેસને પણ સેફટી અંગે વારંવાર સુચના આપી છે. તેઓ નેટ બાંધવાનું કહે છે, પણ રીઢા અધિકારીઓ અને ઇન્સ્પેકટરો તેમની સૂચનાને ઘોળીને પી જાય છે. કમિશનરની ઉચ્ચ ભાવનાને અર્થ શૂન્ય બનાવી દે છે.
બીજી તરફ આ વિસ્તારના લોકોએ જેમને ખોબલેને ખોબલે મતો આપીને ધારાસભ્યપદે આરૂઢ કર્યા છે, તે કંચનબેન રાદડીયા અને સાંસદની ફરી ચુંટણી લડી રહેલા હસમુખ પટેલે તેમના જ વિસ્તારમાં બનેલી આ કરુણ ઘટના અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્તારના કોર્પોરેટરો પણ મજૂરને ન્યાય અપાવવા ક્યાંય ફરક્યા નથી. આવા નિષ્કિય પ્રતિનિધિઓની નોંધ પ્રદેશ કાર્યાલએ રાખવી જોઈએ. તેવી માંગણી પણ ઉભી થઇ છે. આમ નથી થતું માટે જ આવા બિલ્ડરો છાતી ઠોકીને કહેતા હોય છે કે,બધું ગોઠવાઈ ગયું છે, અમને કશું થવાનું નથી.
આ ઘટનામાં ખોડીયાર બિલ્ડર્સના ભાગીદારો સામે મ્યુનિ. કોર્પોરેશનને પહેલા પગલા લેવા જોઈએ. કેમકે, બાંધકામની રજાચિઠ્ઠી આપનાર તંત્ર મ્યુનિ. કોર્પોરેશન છે. બાંધકામના અને સલામતીના નિયમો પાળવાની જવાબદારીઓ પણ મ્યુનિ. ટીડીઓ ખાતાની જ છે. મજૂરનું મૃત્યુ થયું હોવાથી. ગુન્હો દાખલ કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે. FIR નોંધી કડક પગલા લેવાવા જોઈએ. જેથી માનવ મૃત્યુને સહજતાથી લેતા બિલ્ડરોને પદાર્થપાઠ મળે!
આ પણ વાંચો:ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાયો…
આ પણ વાંચો:પ્રેમિકાના ત્રાસથી વકીલનો આપઘાત, શિવરંજની ચાર રસ્તા પેટ્રોલ છાંટી આગ લગાવી
આ પણ વાંચો:આણંદની સભામાં PM મોદીએ સરદાર પટેલને કર્યા યાદ ‘સરદાર સાહેબની ભૂમિમાં જે શિખ્યો તે આજે કામ આવે છે’
આ પણ વાંચો:પરષોત્તમ રૂપાલાએ ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે કરી બેઠક, રોષ ડામવાનો પ્રયાસ