ભારત એક અનોખું રાજ્ય છે. અહીં ડગલેને પગલે એક નવી સંસ્કૃતિ અને નવી ભાષા જોવા મળે છે. આજે વાત કરવી છે ભારતના એક એવા રાજ્ય વિશે જ્યાં દુકાનો માત્ર વિશ્વાસ પર ચાલે છે. એટલે કે આ રાજ્યની દુકાનોમાં કોઈ દુકાનદાર નથી.આઈએએસ અવનીશ શરણે ટ્વીટ કરીને આ દુકાનો વિશે જાણકારી આપી છે, તો ચાલો આપણે પણ જાણીએ વિશ્વાસ પર ચાલતી દુકાનો વીશે..
ભારતના ઉત્તર ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યમાં હાઈવે પર શાકભાજી અને ફળોની દુકાનો આવેલી છે. આ દુકાનોમાં કોઈ દુકાનદાર નથી. અહીં એક થાંભલા પર માત્ર કિંમત લખાયેલું નાનું બોર્ડ લટકે છે અને પૈસા મૂકવા માટે એક બોક્સ છે.
સેઇલિંગ એ મિઝોરમની રાજધાની આઇઝોલથી 200 કિમી દૂર એક નાનું શહેર છે. આ દુકાનો અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજ સુધી આ દુકાનોમાં ક્યારેય ચોરી થઈ નથી.
મિઝોરમમાં, આ સંસ્કૃતિને ‘નગાહ-લૂ-દવર’ કહેવામાં આવે છે. આ દુકાનો કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. હાઈવેની બાજુમાં બનેલી આ દુકાનોમાં શાકભાજી, ફળો ઉપરાંત માછલીઓ પણ વેચાય છે.
જેને સામાન ખરીદવો હોય તે દુકાનમાં રાખેલી થેલીમાં તેટલા પૈસા નાખે છે અને પછી ત્યાંથી વસ્તુઓ લઈ જાય છે. આ દુકાનો ચલાવવા પાછળ એવું કારણ આપવામાં આવે છે કે જો દુકાનદારો દુકાનો પર બેસવા લાગે તો તેમની પાસે ખેતી માટે સમય જ નહીં રહે.