Junagadh News: જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ (Taral Bhatt) આખરે ATSના હાથે ઝડપાયો છે. ATSના હાથે સસ્પેન્ડ પી.આઈ.ની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ પણ ચાલી રહી છે. અમદાવાદમાં ગઈકાલે જ તરલ ભટ્ઠના નિવાસસ્થાને તપાસ એજન્સીઓના દરોડા પડ્યા હતા.
જૂનાગઢ તોડકાંડ કેસમાં ATSની તપાસ તેજ બની હતી. જેના પગલે તપાસ એજન્સીઓએ અમદાવાદમાં પીઆઈ (P.I.) તરલ ભટ્ટના ગઈકાલે ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. અન્ય આરોપીઓને શોધવા એટીએસની અલગ-અલગ ટીમો કાર્યરત છે. તોડકાંડ સંબંધિત પુરાવા એકત્ર કરવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, જૂનાગઢ તોડકાંડની ફરિયાદ પીઆઇ તરલ ભટ્ટ, SOG પીઆઇ એ.એમ.ગોહિલ અને ASI દીપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી. જે બાદ બન્ને પીઆઇ અને ASI ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે રૂપિયા 1000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ હતું. PCB દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી.
તોડકાંડના આરોપી પૂર્વ પીઆઈ તરલ ભટ્ટએ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે, આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
મહત્વનું છે કે જૂનાગઢ તોડકાંડમાં ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જૂનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું પણ સામે આવ્યુ છે.
આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા
આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી