ભાવનગરઃ રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની અસર બધાને થઈ રહી હોય તો એબીવીપી(ABVP)ના કાર્યાલય મંત્રી પણ કેમ બાકી રહે. ભાવનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નો 54મો અધિવેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ABVPના કાર્યાલય મંત્રીએ કદાચ આ ઠંડીની અસર તળે ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ પટેલને ABVPના સીએમ ગણાવી દીધા હતા. તેના પગલે સમગ્ર સભાખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતુ. CM ભુપેન્દ્ર પટેલ પોતે પણ હસવું રોકી શક્યા ન હતા.
તેમના ધ્યાન પર પર તરત જ આ ભૂલ આવતા તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી. પણ કહેવાય છે ને કે બુંદ સે બિગડી હોજ સૈ નહી સુધરતી. ભાવનગરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP)આ કાર્યક્રમમાં ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ (Amar Acharya) સભાગણને સંબોધન દરમિયાન કરેલી ભૂલ ફક્ત અધિવેશન નહી ભાવનગર ભાજપના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના અધિવેશનના કાર્યક્રમમાં આભારવિધિ દરમિયાન એબીવીપીના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી ગણાવી દીધા હતા. જો કે ભૂલ ધ્યાન પર આવતા તેમણે મુખ્યમંત્રી સમક્ષ જોઈ સોરી કહી દીધુ હતુ અને કહ્યું હતું કે ભૂલથી બોલાઈ ગયું છે. પણ આ ઘટનાક્રમથી સભાખંડમાં થોડી વાર માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
ભાવનગર ખાતે ત્રણ દિવસના એબીવીપીના ગુજરાત પ્રાંતના 54માં અધિવેશનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને હાજરી હતી. આ અધિવેશનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુવાનો શિક્ષણની સાથે તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સગવડો દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહી પણ જોબ ગિવર બન્યા છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એબીવીપીએ લોકો સુધી પહોંચાડી છે. તેની સાથે તેમણે એબીવીપીને યુવાનો સાથેનો સંપર્ક વધારે જાળવી રાખવાની સાથે સંપર્ક વધારે ગાઢ બનાવવા સૂચનો કર્યા હતા.