અમદાવાદ,
પાટણ જીલ્લાની કલેકટર કચેરી બહાર ન્યાયની માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરનાર દલિત કાર્યકર ભાનુપ્રસાદ વણકરનું શનિવારે મોત નીપજ્યું હતું. આ કારણે દલિત સમુદાયના લોકોએ ઠેર-ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે રવિવારે પણ આ ઉગ્ર આંદોલનની આગ અમદાવાદમાં જોવા મળી રહી છે. દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિરોધને મામલે રવિવારે અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું અને લોકોને સારંગપુર ભેગા થવાની અપીલ કરી હતી. પરંતુ જિજ્ઞેશ મેવાણી સારંગપુર પહોચે તે પહેલા પોલીસે સુરક્ષા કારણોસર આ દલિત નેતાની સરસપુરથી અટકાયત કરવામાં આવી હતી.
હવે આ દલિત નેતાની અટકાયતના પડઘા ગાંધીનગર, મહેસાણા, પાટણ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા મળી રહ્યા છે. અમદાવાદમાં આગચંપીની તેમજ ઊંઝા-પાટણ હાઇવે અને ગાંધીનગરમાં ચક્કાજામની ઘટના સામે આવી રહી છે. જિજ્ઞેશ મેવાણીની અટકાયત બાદ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોકોએ રોડ પર સુઈને વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદના વાડજમાં ટોળાએ કાર અને બાઇકને આગચંપી વિરોધ નોંધાવ્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ અને દલિતો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને સરકાર અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં. ત્યારબાદ પોલીસે ભીમ શક્તિ સેનાના ૨૫થી વધુ લોકોની અટકાયત કરી છે.
બીજી બાજુ આ કારણે બંધના પગલે એસટી બસો ડાઈવર્ટ કરવામાં આવી છે. તેમજ સાંરગપુર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે પોલીસનો ખડકલો કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાટણ જીલ્લાના દદુઆ ગામનો દલિત પરિવાર છેલ્લા ૬ મહિનાથી જમીન મામલે પોતાની ન્યાયની માંગણી કરી રહ્યો હતો. ત્યારે આ માંગણી ન સંતોષાતા કલેકટર કચેરી બહાર દલિત સમુદાયના ભાનુપ્રસાદ નામના વ્યક્તિએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેઓનું શનિવારે નિધન થયું હતું.