દેશનું યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે નશીલા પદાર્થોનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યુ હતુ, જેની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા તે એક્શનમા આવી ગઇ હતી. બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે 45 લાખની કિંમતનો 150 કિલો ગાંજો હેરાફેરી દરમિયાન ઝડપી પાડ્યો છે અને તેની સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પુછપરછમાં ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી અમદાવાદ સુધીનું નેટવર્ક છતું કર્યું છે.
દેશનાં યુવાધનને બરબાદ કરતું નશીલા પદાર્થનું નેટવર્ક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ 150 કિલો ગાંજા સાથે 2 આરોપીઓ જેમાં ડાહ્યાભાઈ ઉર્ફે ડાહ્યો ભાટ્ટી તથા તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આ બન્ને આરોપી છોટા હાથી વાહનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો સુરત ખાતેથી ભરી વડોદરા નડિયાદ થઈ અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો છે. આ મુજબની ચોક્કસ બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જેતલપુર ગામનાં ઓવર બ્રિજનાં છેડા પાસે નાકાબંધી કરી તાડપત્રીની આડમાં લાઇજવામાં આવતા 150 કિલો ગાંજાને ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલાં ગાંજાનાં ગેરકાયદેસર નેટવર્કની વાત કરવામાં આવે તો ઝડપાયેલા બંન્ને આરોપીઓ પોતાના સાગરીતો સાથે મળી ઓરિસ્સાથી અમદાવાદ સુધી અને ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં આ ગેરકાયદેસર નેટવર્કને ઓપરેટ કરતા હતા. જેમાં નોંધનીય બાબત છે કે અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવ પીરનાં ટેકરા પાસે આવેલા ઝૂંપડાઓમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ગાંજાનો કારોબાર ચાલતો હોવાથી રેડ કરી હતી. અને નશીલા પદાર્થોનાં કારોબારને જડમૂળથી નાબુદ કરવા વારંવાર રેડ કરવામાં આવી હતી. તેમ છતા ગુનેગારો દ્વારા ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ચાલુ રાખવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણકે 150 કિલો ગાંજા સાથે ઝડપાયેલા બંન્ને આરોપીઓનું કનેક્શન અમદવાદનાં રામદેવ નગર ટેકરા, જુહાપુર, ગુલબાઈ ટેકરા અને વાસણાનાં ગણેશનગર સહિત અનેક વિસ્તારમાં હોવાનું પોલીસ તપાસમાં ફલિત થયું છે.
હાલ પોલીસે આ જંગી જથ્થા સાથે બંન્ને આરોપીઓને પકડી ષડયંત્રનાં મૂળ સુધી પહોચવા કવાયત હાથધરી છે. જેમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતી મોટી ટોળકી સહિત ઇન્ટર સ્ટેટ કૌભાંડ બહાર આવશે તેવી ક્રાઇમ બ્રાન્ચે ખાતરી આપી છે.