અમદાવાદ,
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પ્રેસિડેન્ટ પ્લાઝામાં આર્ચરકેર નામે ચાલતી કંપની દ્વારા ઓનલાઇન જાહેર ખબર જોઇને પૈસા કમાવાના નામે અંદાજે એક લાખ લોકો સાથે કરોડોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
વિનય શાહ અને તેની પત્નિ ભાર્ગવી શાહ દ્વારા હજારો લોકોને સ્કીમના નામે કરોડોની ઠગાઇ કરી ફરાર થઇ ગયા હતા. આ બંટી અને બબલી દ્વારા અંદાજે 260 કરોડની છેતરપીંડી કરી હોવાની વાત સામે આવી હતી. ત્યારે હવે લાખો રૃપિયાની ઠગાઇ કરીને વધુ એક કંપનીને તાળા મારીને સંચાલકો નાસી છૂટયા હોવાનું બહાર આવતા રોકાણ કારોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લોકોએ કીમ ઇન્ફ્રા.એન્ડ ડેવલપર્સ લિમિટેડ અને હેલ્પ ફાઇનાન્સ લિમિટેડ સામે પણ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી કીમ ઇન્ફ્રાસ્ટકચર એન્ડ ડેવલપમેન્ટ લિમીટેડ કંપની દ્વારા રાજેશ પવાર નામની વ્યક્તિને એફ.ડી.ના રૂપિયા ૩.50 લાખ નહી આપીને ઠગાઇ કરી હતી. આ ઘટના અંગે વાડજ પોલીસે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નારોલમાં જૂની હાઇકોર્ટના સામે આવેલી શ્રીજી કો.ઓ.સોસાયટીમાં રહેતા અને કાળીગામ ખાતે પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા.
રાજેશભાઇ નવનીતલાલ પવારે વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે 10 વર્ષ પહેલા ઉસ્માનપુરામાં સીયુશાહ કોલેજની ગલીમાં આવેલા નીલકંઠ એવન્યું કોમ્પલેક્સમાં આવેલી કીમ ઇન્ફ્રાસ્ટક્ચર એન્ડ ડેવલપમેન્ટ લિમીટેડ તથા નેક્ટર કોમર્શિયલ એસ્ટેટ લિમીટેડ અને હેલ્પ ફાઇનાન્સ લિમીટેડ નામની ઓફિસ આવેલી હતી જેમાં કંચન દત્તા, રવિન્દ્રસિંગ સિંધુ અને કે.એસ.બલ ડાયરેક્ટર હતા.
જ્યારે દશરોજી મેનેજર અને મલયભાઇ એરિયા મનેજર હતા. આ કંપનીમાં પી.જી.પટેલ અને જાગૃતિ બહેન પરીખ એજન્ટ તરીકે કામ કરતા હતા. ઉપરોક્ત કંપનીમાં ફરિયાદીએ ફિક્સ ડિપોઝિટ અને એમઆઇએસ સ્કીમમાં લાખો રૃપિયા રોક્યા હતા.
જે 2009માં પરત મળી ગયા હતા. જે કંપનીમાં 2011માં ફરીથી એફડી કરી હતી. જે એફડી ગત જાન્યુઆરી માસમાં પાકી ગઇ હતી. જે પૈકી રૂપિયા ૩ લાખ પાકી ગયા બાદ ચૂકવ્યા ન હતા તેમજ એમઆઇસી સ્કીમમાં છેલ્લા પાંચ મહિનાનું રૂપિયા 50 હજાર વ્યાજ મળી કુલ રૂપિયા ૩.50 લાખ નહી ચૂકવીને છેતરપીંડી કરી હતી.
ફરિયાદીએ તાજેતરમાં ઉસ્માનપુરા ખાતેની ઓફિસે તપાસ કરતાં તાળા મારીને સંચાલકો ભાગીગયા છે. આ બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કંપની દ્વારા દિલ્હી તથા અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત ગુજરાતમાં અનેક લોકો સાથે આ પ્રમાણે લાખો રૃપિયાની ઠગાઇ કરી હોવાની ચર્ચા સેવાઈ રહી છે.
હાલ તો આર્ચરકેર નામે ચાલતી કંપનીમાં ઉઠમણું કરનાર બંટી બબલી હજુ સુધી પોલીસની પકડમાં નથી આવ્યા અને હજુ એ કોયડો ઉકેલાયો પણ નથી ત્યારે હવે પોલીસના માથે વધુ એક કંપનીનું ઉઠમણું સામે આવતા પોલીસની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે, હવે જોવાનુંએ રહેશે કે કેટલાક સમયમાં આ બંન્ને કોયડાઓને પોલીસ ઉકેલીદે છે અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે.