મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે મંગળવારે મોડી રાત્રે ભંડારાથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં તેમની કારને ઘણું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ ઘટના બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આરોપ લગાવ્યો છે કે ભંડારા પાસે તેમની કારને “ઈરાદાપૂર્વક” ટક્કર મારી હતી. પટોલેએ કહ્યું કે તેમની કારને જાણી જોઈને ટક્કર મારવામાં આવી હતી, પરંતુ લોકોના પ્રેમ અને આશીર્વાદને કારણે તેઓ બચી ગયા હતા. પટોલેએ કહ્યું કે પોલીસ તપાસ કરશે કે તે કાવતરું હતું કે અકસ્માત. કોંગ્રેસ નેતા ભંડારા-ગોંદિયા લોકસભા ક્ષેત્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનના ઉમેદવાર પ્રશાંત પડોલે માટે પ્રચાર કરી રહ્યા હતા.
આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર પ્રશાંત પડોલેને નાના પટોલેનો બીજો ચહેરો માનવામાં આવી રહ્યો છે. પટોલે તેમના માટે દિવસ-રાત પ્રચાર કરવામાં લાગ્યા છે. એ જ રીતે ગઈકાલની પ્રચાર સભા બાદ નાના પટોલે રાત્રે ભંડારાથી પોતાના વતન જવા રવાના થયા હતા. દરમિયાન ભંડારાથી પાંચ કિલોમીટર દૂર ભીલવાડા ગામ પાસે તેમના કાફલાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નાના પટોલેની કારનો પાછળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો.
વિધાનસભાના પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહેલા પટોલેની સુરક્ષા સરકાર બદલાયા બાદ હટાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ નાના પટોલેએ ટિપ્પણી કરી હતી કે લોકોના આશીર્વાદ અને પ્રેમને કારણે હું સુરક્ષિત છું. કોંગ્રેસ નેતા નાના પટોલેની કારના ભયાનક અકસ્માતની ખબરો સામે આવતા કોંગ્રેસ અને ભાજપ પક્ષ વચ્ચે ફરી એક વિવાદ છંછેડાતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી
આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં હાઈકોર્ટમાંથી ના મળી રાહત
આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો