દેશમાં જ્યા પીએમ મોદી સબકા સાથ સબકા વિકાસનાં નારા લગાવી રહ્યા છે, ત્યારે તેમના જ ગઢ ગુજરાતમાં દલિત યુવકને લગ્નમાં વરઘોડો લઇ જવાની પરવાનગી મળતી નથી. અરવલ્લીનાં ખંભીસરમાં બનેલી આ ઘટનાથી એકવાત સ્પષ્ટ થઇ છે કે સમયની સાથે લોકોની માનસિકતામાં હજુ કોઇ ફેરફાર આવ્યો નથી. આજે પણ દલિત સાથે આભડછેડ રાખવામાં આવે છે. ઘટનાની ગંભીરતા તે વાતથી સમજી શકાય છે કે વરઘોડાને ગામની બહાર પોલીસ બંદોબસ્ત હોવા છતા ન નિકળવા દેવામાં આવ્યો. જેથી દલિતોમાં ઉગ્ર નારાજગી ફેલાઇ અને બાદમાં બંન્ને તરફથી પથ્થરમારો શરૂ થતા મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઇ વડગામનાં ધારાસભ્ય અને દલિતોનાં નેતા કહેવાતા જીગ્નેશ મેવાણીએ તે પરિવારની મુલાકાત લીધી હતી.
અરવલ્લીનાં ખંભીસર ગામે દલિત યુવાનનાં વરઘોડા પર પથ્થરમારાની ઘટનામાં હવે જિજ્ઞેશ મેવાણીએ પણ એન્ટ્રી કરી છે. મેવાણીએ ખંભીસરમાં જઇ દલિત પરિવાર સાથે મુલાકાત કરી અને બાદમાં સરકાર અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તો બીજી તરફ પોલીસે આ મામલામાં વધુ બે વ્યક્તિની ધરપકડ કરી છે. ઉપરાંત મેવાણી અને દલિત સમાજની માંગ પર અરવલ્લીનાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે ખાતાકીય તપાસનાં આદેશ પણ અપાયા છે. અરવલ્લીનાં ખંભીસર ગામે થયેલ વરઘોડા પર પથ્થર મારની ઘટના હવે રાજકીય સ્વરુપ પકડી રહી છે. ત્યારે આજે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ખંભીસર ગામની મુલાકાત લીધી હતી અને પોલીસની કામગીરી દલિત વિરોધી હોવાના આક્ષેપો કર્યા હતા. તો ભાજપ સરકારને પણ આડે હાથ લીધી હતી.
દલિત યુવાનનાં વરઘોડા પર પથ્થર મારાની ઘટના બાદ ખંભીસર ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈને સુમસામ બની ગયું છે. દલિત સમાજના અગ્રણીઓ સાથે બંધ બારણે મુલાકાત કર્યા બાદ જીગ્નેશ મેવાણીએ પોલીસ સામે નિશાન તાક્યું હતું. તો આ તરફ પોલીસ દ્વારા જે ફરિયાદ કરાઇ તેના પર ધરપકડનો દોર શરુ કરાયો છે. આજે ગામનાં પટેલ સમાજનાં બે યુવાનોની ધરપકડ કરાઈ છે. નોધનીય છે કે ધરપકડનાં ડરે હાલમાં ખંભીસર ગામનાં યુવાનો અંન્ડર ગ્રાઉન્ડ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દલિત સમાજ ગઈકાલે આખો દિવસ પોલીસ ફરિયાદની માંગ સાથે બેસી રહ્યો હતો. આમ છતાં પોલીસે હજુ સુધી કોઈ જ ફરિયાદ દાખલ કરી નથી. ત્યારે આજે જીગ્નેશ મેવાણીએ આ વાતને આગળ ધરીને પોલીસને દલિત વિરોધી ગણાવી હતી. તો અભદ્ર ભાષાપ્રયોગ બદલ ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ સામે પણ કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે હાલ તો આ સમગ્ર વિવાદ મામલે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે ખાતાકીય તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે આ કેસમાં જે કોઈ પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે. સમગ્ર કેસની તપાસ અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ કરશે.