@ નિકુંજ પટેલ
West Bengal News: પશ્ચિમ બંગાળના સંદેશખાલી મામલામાં કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકાર સામે લાલ આંખ કરતા કહ્યું કે, બાહુબલી ટીએમસી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.
સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેમના સાગરીતો તેમનું શોષણ કરતા હતા અને જબરજસ્તીથી જમીન હડપ કરી લેતા હતા. શાહજહાંના ઠેકાણાઓ પર પહોંચેલી ઈડીની ટીમ પર થયેલા હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે.
બીજી બાજુ શાહજહાં તરફથી કરાયેલી અરજીમાં ધરપકડ પર સ્ટે લગાવવાની માંગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે રદ્દ કરી દીધી હતી. કોલકાતા હાઈકોર્ટના જજે ટીએમસી સાંસદ અભિષેક બેનરજી અને બંગાળના અન્ય બે મંત્રીઓની ટિપ્પણી ઉપર પણ સખત વલણ અપનાવીને કહ્યું હતું કે કોર્ટે ક્યારેય શાહજહાંની ધરપકડ પર રોક લગાવી નથી. તેની ધરપકડ થવી જ જોઈએ. બીજી તરફ અભિષેક બેનરજીએ રવિવારે કહ્યું હતું કે, ફરાર નેતા શાહજહાં શેખની ધરપકડમાં કોર્ટને કારણે મોડું થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, શાહજહાં શેખને કોર્ટ દ્વારા સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે જેથી સંદેશખાલીનો મુદ્દો ચગતો રહે. તેમણે કહ્યું કે, જ્યારે ટીએમસી (TMC) નેતાઓ પાર્થ ચેટરજી અને જ્યોતિપ્રિય મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે તો શાહજહાં શેખ કોણ છે. તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈતી હતી.
રાશન કૌભાંડ મામલામાં ઈડીની ટીમ શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા ગઈ હતી. ત્યારબાદ શાહજહાના સાગરીતોએ ઈડીના અધિકારીઓ પર હુમલો કરી દીધો. ત્યારબાદ કોલકાતા હાઈકોર્ટે ઈડી અને રાજ્ય પોલીસના અધિકારીઓ સાથે મળીને એક તપાસ ટીમ બનાવવા કહ્યું હતું.
ઈડીએ થોડા દિવસ બાદ તેના પર રોક લગાવવાની માંગણી કરી તો હાઈકોર્ટે તેને મંજૂરી આપી દીધી હતી. બાદમાં ઈડી અને રાજ્ય પોલીસ બન્નેએ સ્વતંત્ર તપાસની મંજૂરી માંગી હતી. ખંડપીઠે 7 ફેબ્રુઆરીના રોજ બહાર પાડેલા આદેશમાં રાજ્ય પોલીસની તપાસ પર રોક લગાવી દીધી હતી.
આ પણ વાંચો:ખેડૂતો આનંદો! સરકાર આ પાકોને ટેકાના ભાવે ખરીદશે
આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ
આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મોત