G-20 summit/ વૈશ્વિક શાંતિના સંદેશ સાથે બાલી શિખર સંમેલન પૂર્ણ થયું, ભારતને મળી અધ્યક્ષતાની બેટન

જી-20ના ઘોષણાપત્રમાં પીએમ મોદીના ‘શાંતિના સંદેશ’ ને મળ્યું મહત્વ,પીએમ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આ યુગનું સૌથી ઉલ્લેખનીય પરિવર્તન જણાવ્યું.દ્વિપક્ષીય બેઠકો મારફતે ભારત માટે ભવિષ્યની સંભાવનાઓને ખોલવાનો પ્રયાસ થયો.

Top Stories World
શાંતિના સંદેશ

ઇન્ડોનેશિયાના બાલીમાં બુધવારે 17મા જી-20 શિખર સંમેલનના બીજા અને અંતિમ દિવસે ભારતને સાંકેતિક રીતે જી-20ની અધ્યક્ષતા મળી ગઇ. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સમાપન સમારોહમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-20ની અધ્યક્ષતાની બેટન સોંપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર સંમેલન ઉપરાંત અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. જી-20 શિખર સંમેલનના સમાપના સત્રના પોતાના સંબોધનમાં પીએમ મોદીએ માતૃશક્તિના ગુણગાન કર્યા અને કહ્યું કે વૈશ્વિક વિકાસ મહિલાઓની ભાગીદારી વિના સંભવ નથી. તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિષય પર આયોજિત શિખર સંમેલનના ત્રીજા સત્રમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે ‘ડેટા ફોર ડેવલપમેન્ટ’ નો સિદ્ધાંત અમારી અધ્યક્ષતાની થીમ ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’ નું એક અભિન્ન અંગ હશે.

આ પહેલા બુધવારની સવારે જી-20 શિખર સંમેલન ઉપરાંત પીએમ મોદીએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે બાલીના મેંગ્રુવ વન ‘તમન હુતાન રાયા નગુરાહ રાય’ ની મુલાકાત લીધી. આ દરમિયાન, ભારતીય વડાપ્રધાન  સહિત અન્ય વૈશ્વિક નેતાઓએ છોડવાંઓ રોપીને સ્વચ્છ વાતાવરણ અને શાંતિનો સંદેશ આપ્યો. વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર ‘વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ પ્રયાસોમાં મેંગ્રુવની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઇન્ડોનેશિયાની જી-20 અધ્યક્ષતામાં ઇન્ડોનેશિયા અને યુએઈની સંયુક્ત પહેલ “મેંગ્રુવ અલાયન્સ ફોર ક્લાઇમેટ ચેન્જ (એએમસી)”માં ભારત સામેલ થઇ ગયું છે.’

Untitled 72 3 વૈશ્વિક શાંતિના સંદેશ સાથે બાલી શિખર સંમેલન પૂર્ણ થયું, ભારતને મળી અધ્યક્ષતાની બેટન

જી-20 અધ્યક્ષતા દરમિયાન સમાવેશી દ્રષ્ટિકોણ અપનાવશે ભારત

શિખર સંમેલનમાં સમાપન સમારોહમાં પીએમ મોદીએ એક વાર ફરી વિશ્વ કલ્યાણની પોતાની પ્રતિબદ્ધતાને દોહરાવી. તેમણે કહ્યું, “ભારત જી-20ની જવાબદારી એવા સમયે લઇ રહ્યું છે, જ્યારે વિશ્વ જિયો-પોલિટિકલ તણાવો, આર્થિક મંદી, ખાદ્યાન્ન અને ઊર્જાની વધતી કિંમતો અને મહામારીની લાંબા ગાળાની ખરાબ અસરો સામે એકસાથે ઝઝૂમી રહ્યું છે. આવા સમયે વિશ્વ જી-20 સામે આશાભરી નજરે જોઇ રહ્યું છે. આજે હું એવું આશ્વાસન આપવા માંગું છું કે ભારતની જી-20 અધ્યક્ષતા સમાવેશી, મહત્વાકાંક્ષી, સ્પષ્ટ અને એક્શન-ઓરિયેન્ટેડ હશે.”

પ્રાકૃતિક સંસાધનોને પોતાની જાગીર સમઝનારા દેશોને આપ્યો કડક સંદેશ

પ્રાકૃતિક સંસાધનો પર અનધિકૃત કબ્જાને લઇને પીએમ મોદીએ અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું, “પ્રાકૃતિક સંસાધનો પર માલિકીભાવ આજે સંઘર્ષને જન્મ આપી રહ્યો છે અને પર્યાવરણની દુર્દશાનું મુખ્ય કારણ બન્યો છે. આ ગ્રહના સુરક્ષિત ભવિષ્ય માટે, વિશ્વાસનો ભાવ જ એક સમાધાન છે. તેમાં લાઇફ એટલે કે ‘લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્મેન્ટ’ અભિયાન એક મોટું યોગદાન આપી શકે છે. તેનો ઉદ્દેશ દીર્ઘકાલીન લાઇફસ્ટાઇલને એક જન-આંદોલન બનાવવનો છે.”

Untitled 72 4 વૈશ્વિક શાંતિના સંદેશ સાથે બાલી શિખર સંમેલન પૂર્ણ થયું, ભારતને મળી અધ્યક્ષતાની બેટન

વૈશ્વિક વિકાસ માટે મહિલાઓની ભાગીદારીનું કર્યું આહ્વાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વવિક વિકાસ મહિલાઓની ભાગીદારી વગર સંભવ નથી. આપણે આપણા જી-20 એજન્ડામાં ‘મહિલાઓના નેતૃત્વમાં વિકાસ’ પર આપણી પ્રાથમિકતા જાળવી રાખવાની છે. તેમણે કહ્યું, ‘આજે આવશ્યકતા છે કે વિકાસના લાભ સર્વ-સ્પર્શી અને સર્વ-સમાવેશી હોય. આપણે વિકાસના લાભોને મમભાવ અને સમભાવથી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના રહેશે.’

ભારતીય સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવાનું આપ્યું આમંત્રણ

પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરવાનું આમંત્રણ આપતા કહ્યું, “જી-20ની અધ્યક્ષતા ગ્રહણ કરવી એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20ની બેઠકો આયોજિત કરીશું. અમારા અતિથિઓને ભારતની અદ્બુત વિવિધતા, સમાવેશી પરંપરાઓ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અદ્ભુત અનુભવ મળશે. અમારી ઇચ્છા છે કે આપ સહુ ‘મધર ઓફ ડેમોક્રસી’ ભારતમાં આ અદ્વિતીય ઉત્સવમાં ભાગીદાર બનશો.”

Untitled 72 5 વૈશ્વિક શાંતિના સંદેશ સાથે બાલી શિખર સંમેલન પૂર્ણ થયું, ભારતને મળી અધ્યક્ષતાની બેટન

વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક

શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે બન્ને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા, રક્ષા સહયોગને વધારવા અને અન્ય અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો વચ્ચે પણ વાતચીત થઇ હતી. બન્ને નેતાઓએ રક્ષા , સતત વિકાસ અને આર્થિક સહયોગ વધારવા વિશે વાત કરી હતી. વડાપ્રધાને ઈટલીના વડાપ્રધાન જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી અને તેમને દેશના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બન્ને નેતાઓએ વેપાર અને રોકાણ, આતંકવાદનો મુકાબલો અને લોકો સાથેના સંબંધો સહિત વિભિન્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને ગહન કરવા અંગે ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીસ સાથે પણ મુલાકાત કરી. બન્ને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતી નિયમિત ઉચ્ચ સ્તરીય બેઠકો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે રક્ષા, વેપાર, શિક્ષણ, સ્વચ્છ ઉર્જા સહિતના ક્ષેત્રોમાં સહયોગને ગહન બનાવવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લી. સિયન લૂંગ સાથે મુલાકાત કરી હતી. બન્ને વડાપ્રધાને સપ્ટેમ્બર 2022માં નવી દિલ્હીમાં આયોજિત ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી સંમેલનના ઉદ્ઘાટન સત્ર સહિત ભારત અને સિંગાપોર વચ્ચેના મજબૂત રાજકીય સંબંધો અંગે વિચાર વિમર્શ કર્યો હતો. તે પહેલા પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ ઉમળકાભેર મુલાકાત કરી હતી.

જી-20ના ઘોષણાપત્રમાં વડાપ્રધાન મોદીના સંદેશને મહત્તા મળી

યુક્રેન સંકટથી બહાર નિકળવા માટે હવે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. તેની ઝલક જી-20ના ઘોષણાપત્રમાં પણ જોવા મળી. જી-20ના મુસદ્દામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા એ સંદેશને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી. તેનાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનમાં પહોંચેલા વિશ્વના નેતાઓ વડાપ્રધાન મોદીની વાત કહી રહ્યા છે. મંગળવારે વડાપ્રધાને યુક્રેન વિવાદનો અંત લાવવા માટે યુદ્ધવિરામ અને કુટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આજના યુગનું સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન જણાવ્યું

મંગળવારે, સમિટના પ્રથમ દિવસે, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને સ્વાસ્થ્ય પર સત્ર યોજાયા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિચારો મક્કમતાથી વિચારો મુક્યા હતા. બુધવારે, કોન્ફરન્સના બીજા દિવસે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ત્રીજું સત્ર યોજાયું હતું અને તેમાં પણ વડાપ્રધાને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને માત્ર વિકસિત દેશો સુધી સીમિત રાખવાને બદલે સર્વસમાવેશક બનાવવા પર ભાર મૂક્યો હતો. અને ગરીબી સામે દાયકાઓથી ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં ડિજિટલ ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે,  “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એ આપણા સમયનો સૌથી નોંધપાત્ર બદલાવ છે. ડિજિટલ સોલ્યુશન્સ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં પણ મદદરૂપ થઈ શકે છે – જે આપણે બધાએ કોવિડ દરમિયાન રિમોટ-વર્કિંગ અને પેપરલેસ ગ્રીન ઓફિસના ઉદાહરણોમાં જોયું છે. પરંતુ અમને આ લાભો ત્યારે જ મળશે જ્યારે ડિજિટલ એક્સેસ ખરેખર સર્વસમાવેશક હશે, જ્યારે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ ખરેખર વ્યાપક હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષોના ભારતના અનુભવે અમને બતાવ્યું છે કે જો આપણે ડિજિટલ આર્કિટેક્ચરને સમાવિષ્ટ બનાવીએ તો તે સામાજિક-આર્થિક પરિવર્તન લાવી શકે છે. આનાથી શાસનમાં પારદર્શિતા લાવી શકાય છે. ભારતે ડિજિટલ પબ્લિક ગુડ્સનો વિકાસ કર્યો છે જેમાં લોકશાહીના સિદ્ધાંતો તેમના મૂળ આર્કિટેક્ચરમાં સમાવિષ્ટ છે. આ સોલ્યુશન્સ ઓપન સોર્સ, ઓપન એપીઆઈ, ઓપન સ્ટાન્ડર્ડ્સ પર આધારિત છે, જે ઇન્ટરઓપરેબલ અને સાર્વજનિક છે.”

પીએમ મોદીએ ગરીબ દેશોમાં ડિજિટલ પહોંચ પર ભાર મૂક્યો

ભારતીય વડાપ્રધાને માત્ર ડિજિટલ ક્ષેત્રમાં ભારતના વધતા પગલાઓની ચર્ચા કરવાની સાથે આ દિશામાં પાયાની સુવિધાઓ અને સંસાધનોથી વંચિત દેશોની દુર્દશાની પણ દરકાર કરી હતી. તેમણે કહ્યું, “માત્ર 50 દેશોમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. શું આપણે સાથે મળીને પ્રતિજ્ઞા લઈ શકીએ કે આગામી દસ વર્ષમાં આપણે દરેક માનવીના જીવનમાં ડિજિટલ પરિવર્તન લાવીશું અને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટેક્નોલોજીના લાભોથી વંચિત નહીં રહે! આવતા વર્ષે તેના G-20 પ્રેસિડેન્સી દરમિયાન, ભારત આ ઉદ્દેશ્ય તરફ તમામ G-20 ભાગીદારો સાથે કામ કરશે. ‘ડેટા ફોર ડેવલપમેન્ટ’નો સિદ્ધાંત આપણા પ્રેસિડેન્સીની થીમ ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નો અભિન્ન ભાગ હશે.

આ પણ વાંચો:જોકો વિડોડોએ પીએમ મોદીના હાથમાં સોંપી કમાન, જાણો વડાપ્રધાને શું કહ્યું…

આ પણ વાંચો:ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિએ કઈ વાત પર કહ્યું – ભારત માટે ખૂબ જ શરમજનક

આ પણ વાંચો:ભૂરાજકીય અસ્થિરતાના ડરે ઘટ્યા પછી દિવસના અંતે બજાર વધીને બંધ