કચ્છમાં જ્યાં જુઓ ત્યાં ગાંડા બાવળ જોવા મળે છે આમ તો આડેધડ નીકળી પડેલા ગાંડા બાવળ ને લોકો નોનયુઝ માને છે પણ નવાઈ વચ્ચે હવે ગાંડા બાવળમાંથી બિસ્કીટ કે કોફી પણ બની શકે તેમ છે. વર્ષોથી કચ્છમાં પર્યાવરણ પર સંશોધન કરતાં અને ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી એટલે કે ગાઈડ સંસ્થાના ડાયરેકટર તરીકે કાર્યરત ડોક્ટર વિજયકુમારે તેમના ઇઝરાયેલના પ્રખ્યાત વિજ્ઞાની સાથી ડોક્ટર યુરિયલ સાથે કરેલા રિસર્ચ પેપરમાં ગાંડા બાવળની સારી બાજુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિક નામ પ્રોસોપિસ જૂલીફલોરા તરીકે ઓળખાતા ગાંડા બાવળની સારી બાજુઓ બહાર લાવવા વૈજ્ઞાનિકોએ આ વનસ્પતિની હયાતી કચ્છ જિલ્લામાં તેમજ ખાસ કરીને બન્ની પ્રદેશ માટે આશાકારક ગણાવી છે. અને જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો આ આફત બનેલો ગાંડો બાવળ કચ્છ માટે આશીર્વાદ રૂપ બની શકે છે તેવું આ વૈજ્ઞાનિકોએ રીસર્ચ કરીને બતાવ્યું છે. ઉપરાંત ગાંડા બાવળ પરથી લાખો રોજગારી પેદા કરવાની ક્ષમતાની સાથે કચ્છના બન્ની પ્રદેશની ઇકોસિસ્ટમમાં પણ ફેરફાર લાવી શકાય છે.
ગાઇડના ડાયરેક્ટર ડો. વિજયકુમારે જણાવ્યું કે, તેમની સંસ્થા લાંબા સમયથી ગાંડા બાવળના સંશોધનમાં કાર્યરત છે તથા 2009માં આ અંગે એક રિસર્ચ પેપર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ પેપરમાં આ બંને વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું છે કે, ગાંડા બાવળના ઉપયોગથી બ્રેડ, કેટલ ફીડ, બિસ્કિટ, સીરપ, કોફી, કોકટેલ જેવી ખાદ્ય વસ્તુઓનું નિર્માણ શક્ય છે. આ ઉપરાંત વીજ ઉત્પાદન માટેનો જરૂરી કોલસો પણ બનાવી શકાય છે.
ગાંડા બાવળની ડાળીઓ વૃક્ષનાં રૂપમાં ઉછેરવામાં આવે તો તેનું લાકડું ટીકવૂડ જેવું જ ઉપયોગી છે. બન્ની અને ભીરંડિયારામાં મોટા પ્રમાણમાં ગાંડા બાવળનાં વૃક્ષ જોવા મળે છે. બાવળની ફળી તેના બીજ હટાવ્યા બાદ પ્રોટીન અને ગ્લુકોઝથી સભર છે. તેનો પશુના ચારા માટે ઉપયોગ કરી શકાય છે.
એટલું જ નહીં, ગાંડા બાવળની ફળીના ઉપયોગથી બિસ્કિટ, કોફી જેવાં ખાદ્ય ખોરાક બની શકે છે, વૃદ્ધો અને બાળકો માટે શક્તિદાયક ટોનિક પણ બની શકે છે. યુરોપમાં આ દિશામાં કામ થયું છે અને તેનાં ટોનિક તથા કોફી, બિસ્કિટ પણ મળી રહ્યાં છે, પરંતુ કમનસીબે આપણા દેશમાં જાગૃતિના અભાવે આપણે તેના લાભથી વંચિત છીએ.
પ્રહાર / કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પ્રશાંત કિશોર અને મમતા પર કર્યા આકરા પ્રહાર
મોટા સમાચાર / પશ્ચિમ યુપીને ભેટ, જેવર એરપોર્ટનો PM મોદીએ કર્યો શિલાન્યાસ
બોમ્બે હાઇકોર્ટનો આદેશ / નવાબ મલિક હવે સમીર વાનખેડેના પરિવાર અંગે નિવેદનબાજી કરી શકશે નહી