રાજકોટ: રાહુલ ગાંધીએ રાજામહારાજાઓ અંગે કરેલા નિવેદન પછી રાજ્યમાં હવે તેના અંગેનો વિવાદ ગરમાયો છે. આ સંદર્ભમાં ગુજરાત ભાજપના નાયબ પ્રદેશપ્રમુખ ભરત બોઘરાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું રાજામહારાજાનું નિવેદન બતાવે છે કે કોંગ્રેસ હજી પણ તુષ્ટિકરણના રાજકારણમાંથી ઊંચી આવી રહી નથી. કોંગ્રેસને તુષ્ટિકરણના રાજકારમમાં ભારે પછડાટ મળી હોવા છતાં પણ તે તેને છોડી રહી નથી.
આમ પરશોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ સામેના નિવેદન પછી રાહુલ ગાંધીના નિવેદને ભાજપે રાજ્યમાં સાતમી મે પહેલા જ એક મોકો આપ્યો છે. ભરત બોઘરાનું કહેવું હતું કે રાહુલ ગાંધીએ આ નિવેદન જાણી જોઈને આપ્યું હતુ.
બોઘરા ઉપરાંત ભાજપના પક્ષપ્રમુખ સીઆર પાટિલે પણ રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ આટલા પરાજયો છતાં હજી પણ તેનો બોધપાઠ લેવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં તેના તુષ્ટિકરણના પ્રયત્નોને જાકારો મળ્યો છે અને આ જ જાકારો ચાલુ રહેશે.
ભરત બોઘરાએ જણાવ્યું કે, કોંગ્રેસ દેશમાં શાંતિ ડહોળવાનું કામ કરી રહી છે. દેશમાં જાતિવાદ, કોમવાદ, અલગાવવાદ અને નક્સલવાદ ઉભો કરીને ચૂંટણી જીતવાના કારસા રચી રહ્યા છે. સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું પરંતુ ગરીબી દૂર થઇ નથી. કોંગ્રેસે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. 10 વર્ષથી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે દેશ આગળ વધી રહ્યો છે.
પરશોત્તમ રૂપાલાના નિવેદન અંગે માફી માગતા તેમણે જણાવ્યું હતું કે તેઓ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે, પરંતુ શું રાહુલ ગાંધી માફી માંગશે. લખી રાખજો ક્યારેય માફી નહીં માંગે. હવે તમે વિચારો જો કોંગ્રેસ હાલમાં વિપક્ષમાં છે અને ગણીને 56 બેઠકો છે તો પણ આ પ્રકારની દાદાગીરી કરે છે તો તેણે સત્તા પર હશે ત્યારે કેવા પ્રકારની દાદાગીરી કરી હશે. તેનાથી વિપરીત ભાજપ પોતાની કોઈપણ ભૂલ માટે પ્રજાની તાત્કાલિક માફી માંગી લે છે. તેનું કારણ છે કે શાસન એને જ કહેવાય જેમા પ્રજાની ઇચ્છાનો પડઘો પડે. જ્યારે કોંગ્રેસનું સૂત્ર છે કે શાસન તેને કહેવાય જેમા એક કુટુંબની ઇચ્છાનો પડઘો પડે.
આ પણ વાંચો: ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ
આ પણ વાંચો: ભર ગરમીમાં વાદળછાયા વાતવરણથી ખેડૂતો ચિંતામાં
આ પણ વાંચો: વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ
આ પણ વાંચો: હાટકેશ્વરની નામોશીના પગલે AMC હવે BrIM સિસ્ટમ અજમાવશે