વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ ચૂંટણીમાં શતાયુ મતદારોનો લોકોમાં મતદાન અંગે જબરદસ્ત જુસ્સો જોવા મળ્યો છે. તેઓએ મતદાન કરીને લોકોને સંદેશો આપ્યો છે કે જો લોકશાહીને જાળવવી હોય અને જીવતી રાખવી હોય તો મતદાન કરો.
લોકોએ કેટલા બલિદાન આપ્યા પછી આપણને સ્વરાજ મળ્યું છે. સ્વરાજ મેળવવા તો લોહી રેડાયુ, પણ હવે સ્વરાજ જાળવવા ફક્ત મતદાન જ કરવાનું છે તે તો કરો. 106 વર્ષના ગીતાબહેને મતદાન કરીને યુવાનોને વધુને વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી છે. આ જ રીતે 104 વર્ષના માજી ઇચ્છાબેને મતદારો કરીને અન્ય મતદારોને પ્રેરણા આપી છે.
વાઘોડિયામાં નિમેટા ખાતે મતદાનમથક પર 104 વર્ષના વયોવૃદ્ધ ઇચ્છાબેને મતદાન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રએ વયોવૃદ્ધ મતદારો માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. તેમણે જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થાના લીધે ચાલવાની તકલીફ પડે છે, પરંતુ મતદાન માટેનો જુસ્સો પહેલા હતો તેવો જ છે. મતદાન માટેનો મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગમગ્યો નથી. મેં તમામ ચૂંટણીઓમાં મતદાન કરવાની મારી ફરજ અદા કરી છે.
બીજી બાજુએ વડોદરામાં 106 વર્ષના ગીતાબહેને પણ મતદાન કર્યુ છે. નવાયાર્ડ વિસ્તારમાં આવેલી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યુ હતુ અને યુવાઓને મહામૂલી લોકશાહીનું જતન કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…