યુપીએ-2ની મનમોહન સિંહ સરકાર દરમિયાન સામે આવેલા ટેલીકોમ ક્ષેત્રના સૌથી મોટા 2-જી સ્પેક્ટ્રમના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યા બાદ કોંગેસ પાર્ટીના નિશાન પર વતર્માન મોદી સરકાર છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે ત્યારે સરકાર તરફથી પહેલીવાર કોઈ પ્રતિક્રિયા સામે આવી છે.
કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ પર પલટવાર કરતા જણાવ્યું, “2-જી સ્કેમમાં કોર્ટના ચુકાદાને કોંગ્રેસે સર્ટીફીકેટ ન સમજવું જોઈએ. ચુકાદો આવતા કોંગ્રેસ જાણે સન્માનપત્ર મળ્યું હોઈ એવો વર્તાવ કરી રહી છે”.
ઉલ્લેખનિય છે કે, પૂર્વ પીએમ મનમોહન સિહે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ભ્રષ્ટાચારના આરોપો ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા અને યુપીએ સરકારની સામે પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ તમામ આરોપ બેબુનિયાદ અને ખોટા સાબિત થયા છે. આ નિર્ણય જ બધું જ દર્શાવે છે”.