ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આગામી થોડા કલાકોમાં તે વધુ તીવ્ર બનશે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આનાથી તે રાજ્યોને રાહત મળી શકે છે, જે હાલમાં આકરી ગરમીની ઝપેટમાં છે. આવનારા થોડાક કલાકોમાં બિપરજોય ભારે વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદરમાં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. ત્યારે પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આપને જણાવી દઈએ કે, પોરબંદરના ખારવા વાડમાં એક મકાન ધરશાયી થયું છે.મકાનની અંદર કુલ ત્રણ વ્યક્તિઓ હતા જેમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 42 વર્ષીય લોઢારી પરેશભાઇ નારણભાઇ ફસાઇ ગયા હતા. મકાન ધરશાયી તેના કાટમાળમાં એક વ્યકિત દટાઇ જતાં તેને બચાવવા માટે ફાયર વિભાગની ટીમે રેસ્કયૂ હાથ ધર્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, કાટમાળ નીચે દટાઇ જતાં આ વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભુજમાં લખુરઈ ક્રોસ રોડ પાસે દીવાલ પડી જવાથી બે બાળકોન મોત થયા હતા. અહીં બાળકો રમતા હતા ત્યારે આ દીવાલ અચાનક તેમના ઉપર પડી હતી. જેમાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓને પગલે બે બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પરિવારજનોનું કહેવું છે કે ભારે પવન આવવાના કારણે દીવાલ પડી ગઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 14 જૂન સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉત્તર-ઉત્તર પૂર્વિય તરફ આગળ વધી 15 જૂન એટલે કે ગુરૂવારના દિવસે માંડવી અને જખૌ બંદરે પાસેથી પસાર થશે. વાવાઝોડાનો એક ભાગ પાકિસ્તાનના કરાંચી તરફ હશે. વાવાઝોડું જ્યારે પસાર થશે ત્યારે 125થી 135 કિલોમીટર પ્રતિ કલાક હવાની ઝડપ હશે.
વાવાઝોડાના કારણે રાજ્યના 8 જિલ્લાઓ પ્રભાવિત થશે. 8 જિલ્લાના 441 ગામોના 16 લાખથી વધુ લોકોને અસર થશે. અત્યાર સુધીમાં 8 જિલ્લાના છ હજાર 827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 1800 લોકોનું સ્થળાંતર કરાયુ હતું તો મોરબીના માળિયાના કાંઠા વિસ્તારમાંથી એક હજાર 372 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સલાયાના નીચાણવાળા વિસ્તારોમાંથી 157 લોકોનું તો પોરબંદરમાંથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બિપરજોય વાવાઝોડાથી 8 જિલ્લાના 16.76 લાખ લોકો પ્રભાવિત થશે. અત્યાર સુધી સાત હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની 15 ટીમ તૈનાત કરાઇ હતી. વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ કરવામા આવી હતી. બિપરજોયના કારણે સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારની સ્કૂલોમાં 15 જૂની સુધી રજા જાહેર કરાઇ હતી.
આ પણ વાંચો:સાયક્લોન બિપરજોય ગુજરાત માટે આટલો મોટો ખતરો કેમ, ગામડાઓ ખાલી કરવા સિવાય સરકારની શું છે તૈયારી?
આ પણ વાંચો:બિપોરજૉય વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 410 કિ.મી. દૂર,સમુદ્વમાં ભારે તોફાન આવવાની સંભાવના
આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડોથી પ્રભાવિત વિસ્તારોમાં 95 ટ્રેન રદ : પશ્ચિમ રેલવે
આ પણ વાંચો:બિપરજોર સંકટને લઈને સરકાર એલર્ટ, આ મંત્રીઓને સોંપાઈ જવાબદારી