નંદિગ્રામની બેઠક પર કોણ જીતશે તેનો જવાબ તો ૨ મેના રોજ મળશે પણ અત્યારથી જ ટીએમસી અને ભાજપ બંને પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ટીએમસી નેતા મમતા બેનરજી અને ભાજપના નેતા શુભેંદુ અધિકારી માટે નંદિગ્રામ નાકની લડાઇ બની ગઇ છે. આ બેઠક પર સમીકરણ કંઇક એવા એવા છે કે બંને રાજકીય પાર્ટીઓના દાવા સાચા લાગી રહ્યા છે.
ભાજપ અને ટીએમસી કંઇક એવા સમીકરણો બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી નંદિગ્રામનો સંગ્રામ તેમના નામે થઇ જાય. જે રસ્તા પર મમતા તેજ રસ્તા પર શુભેંદું અધિકારી. શુભેંદું અધિકારીનો મુકાબલો એ જ મમતા બેનર્જી સાથે થઇ રહ્યો છે જેણે તેમને રાજકારણના તમામ અધ્યાય શીખવાડ્યા છે. રાજકારણમાં એક પરિચિત ચહેરો બનાવ્યો છે. આજે દીક્ષા આપનારી દીદીનો શિક્ષા લેનારા શુભેંદુ સાથે મુકાબલો છે.
ચૂંટણીના મેદાનમાં બંનેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. મમતા બેનર્જીને ૧૦ ચૂંટણીમાં એક જ વાર હાર મળી છે. નંદિગ્રામના સંગ્રામમાં જે રીતે દીદી દમ બતાવી રહી છે તેવી જ રીતે શુભેંદુ પણ સામનો કરી રહ્યા છે. અધિકારી પણ રોડ શો યોજી પોતાની તાકાત બતાવી. સંગઠનની તાકાત બતાવી.એક તરફ મમતાએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે ત્યારે નંદિગ્રામથી ચૂંટણી લડીને ભાજપને પડકાર આપવાનો નિર્ણય મમતા પર ભારે પડશે કે પછી તે આરપારની લડાઇને જીતી જશે. તે ૧ એપ્રિલે નંદિગ્રામની જનતા નકકી કરશે.
આ પણ વાંચો,
બંગાળમાં ચાલશે ‘દીદી’નો દમ, કે પછાડશે ‘મોદી’ની માઇન્ડગેમ? કોની કેટલી છે તાકાત?
પહેલાં ધારાસભ્ય અને પછી બે વાર સાંસદ અને તે પછી નંદિગ્રામની બેઠક પરથી જીતીને મમતા બેનરજીની સરકારના બીજા કાર્યકાળમાં પરિવહન મંત્રી બનેલા શુભેંદુ અધિકારીનું નામ હમણાં સુધી પશ્ચિમ બંગાળની બહાર ભાગ્યેજ કોઇ જાણતું હતું. પણ ઝડપથી બદલાયેલા ઘટનાક્રમમાં પાછલા ડિસેમ્બરમાં ભાજપમાં સામેલ થયા પછી અને હાલની વિધાનસભા ચૂંટણીમાં પોતાના ગઢ નંદિગ્રામમાં મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનરજીને પડકાર આપનારા શુભેંદુનું નામ હવે દેશમાં જ નહી વિદેશોમાં પણ લેવાઇ રહ્યુ છે. રાજકીય જાણકારોના મતે શુભેંદુ બંગાળમાં ભાજપનો મજબૂત ચહેરો બની ગયા છે. જો કે રાજકારણના અખાડામાં મમતા અને શુભેંદુ બંને માહિર ખેલાડીઓ છે. વિશ્વાસ ન આવતો હોય તો તેમની આ રાજકીય ટ્રેક રેકોર્ડ પર નજર કરી લો.
૧૯૮૪માં મમતા દીદી જાદવપુર બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અને તેઓ સીપીએમના ઉમેદવાર સામે જીત્યા હતા.
૧૯૮૯માં મમતા બેનરજીએ જાદવપુરની જ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં કિસ્મત અજમાવ્યું હતું. પણ તે ચૂંટણી મમતા બેનરજી હારી ગયા હતા.
જાદવપુર બેઠક હારી ગયા બાદ મમતા બેનરજીએ લોકસભાની બેઠક બદલી નાખી હતી. અને તેઓ ૧૯૯૧માં દક્ષિણ કોલકત્તાની બેઠક પર ચૂંટણી લડીને વિજયી બન્યા હતા. તે પછી તેઓ તેમની કારકીર્દીમાં એક પણ ચૂંટણી હાર્યા નથી.
કારકીર્દીથી લઇને છેલ્લી દસ ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડ્યો છે. તો તેમની સામે શુભેન્દુ અધિકારીનો ટ્રેક રેકોર્ડ પણ એવો જ છે.
મમતા દીદીની સામે મેદાનમાં ઉતરેલા દાદા શુભેન્દુનો ટ્રેક રેકોર્ડ પણ એટલો જ મજબૂત છે. હવે સવાલ એ છે કે મમતા કરતાં એક ચૂંટણી વધારે જીતેલા શુભેન્દુની સ્થિતી ૨૦૨૧માં આવી જ રહેશે કે નહી ? ભાજપે નંદિગ્રામમાં આખી તાકાત લગાવી દીધી છે. અને સમગ્ર વિસ્તારમાં ભાજપના પ્રચારની અસર પણ જોવા મળી રહી છે અને એટલા માટે આ જંગમાં મુકાબલો રોમાંચક થવાનો છે.