ગુજરાતના સસ્તા અનાજના 16 હજાર દુકાનદારો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. સરકારે આપેલ વચનને 15 માસનો સમય પસાર થવા છતા નિર્ણયનો અમલ ના થતા સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું. આ દુકાનદારોએ કમિશન અને અન્ય પડતર માગોને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યમાં દિવાળી તહેવારને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે ત્યારે સરકારે આપેલ વચન ના પાળતા રાશન સંચાલકોએ આંદોલનનો આશરો લીધો છે.
રાજ્યભરના 16 હજાર રાશન સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામતા તંત્રમાં દોડધામ મચી. સરકારે પોતાનું કહેલું ના પાળતા સસ્તા અનાજના દુકાનદારો નવેમ્બરની પરમિટ નહીં ઉપાડે. રાશન સંચાલકોએ આજથી શરૂ કરેલ આંદોલનની સીધી અસર ગરીબો પર થશે. દિવાળી ટાણે જ રાશન સંચાલકો આંદોલન પર ઉતરતા ગરીબ લાભાર્થીઓને અસર થશે. આ હડતાળથી 72 લાખ કાર્ડધારકો ખાંડ અને તેલ જેવી રોજિંદી જરૂરીયાત વસ્તુથી વંચિત રહેશે.
સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોને મીનીમમ રૂ.20 હજાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જેમાં ફેરફાર કરાતા રાશન સંચાલકો નારાજ થયા છે. રાજ્યના કુલ 16 હજાર જેટલા દુકાનદારોને મળતા કમિશનમાં અસંગતતા છે. આ મામલે સસ્તા અનાજ એસોસિયોશનના પ્રમુખ રાજેશભાઈ લક્ષ્મીભાઈદાસે જણાવ્યું કે અનેક સસ્તા અનાજના દુકાનદારો મળવાપાત્ર મીનીમમ રૂ.20 હજારના કમિશનથી વંચિત રહ્યા છે. જો સરકાર અમારા પડતર પ્રશ્નોની માંગણી પૂર્ણ નહિ કરે તો ફરીથી અસહકાર આંદોલન શરૂ કરીશું અને હડતાળને પગલે દુકાનદારો અનાજ માટેનું ચલણ ભરશે નહિ અને વિતરણ પણ નહિ કરે. સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોના ઝગડામાં ગરીબોની દિવાળી બગડશે.
આ પણ વાંચો : અમદાવાદીઓ માટે દિવાળીની રજાઓ માટે આવ્યા ખુશીના સમાચાર, ફલાઈટ સુવિધા વધી
આ પણ વાંચો : Assembly Election 2023/ રાજસ્થાનમાં એકમાત્ર ભાજપના દિગ્ગજ મુસ્લિમ નેતા અને વસુંધરા રાજેના ખાસ યુનુસ ખાન કોંગ્રેસમાં જોડાશે,ભાજપને મોટો
આ પણ વાંચો : Diwali 2023/ આ વખતે દીપોત્સવ પર્વ પાંચ નહીં પરંતુ છ દિવસ ચાલશે, જાણો શું છે કારણ