Editors Guild statement: ગુજરાત હિંસા દસ્તાવેજી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આવકવેરા વિભાગે દિલ્હી અને મુંબઈમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની ઓફિસો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહી અંગે BBCએ એક નિવેદન જારી કરીને સંપૂર્ણ સહયોગ કરવાની વાત કરી છે. તો આવકવેરા વિભાગની આ કાર્યવાહીને લઈને એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાની પ્રતિક્રિયા પણ આવી છે.
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકારની ટીકા કરનારાઓ નિશાના પર છે. જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા નવી દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસો પર સર્વે માટે પાડવામાં આવેલા દરોડાથી ચિંતિત છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2002ની ગુજરાત હિંસા અને ભારતમાં લઘુમતીઓની વર્તમાન સ્થિતિ પર BBC દ્વારા બનાવવામાં આવેલી બે ડોક્યુમેન્ટ્રી રિલીઝ થયા બાદ જ આવું થયું છે. એડિટર્સ ગિલ્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રીના રિલીઝ બાદ આ મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો.
એડિટર્સ ગિલ્ડે કહ્યું છે કે સરકારે BBCની ટીકા કરી હતી અને આ ડોક્યુમેન્ટ્રી બતાવ્યા પછી પણ ભારતમાં તેના પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એડિટર્સ ગિલ્ડે એમ પણ કહ્યું છે કે આવકવેરા વિભાગ દ્વારા આ સર્વેક્ષણ એ સરકારની નીતિઓની ટીકા કરતી મીડિયા સંસ્થાઓને હેરાન કરવા માટે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો સિલસિલો છે. એડિટર્સ ગિલ્ડે સપ્ટેમ્બર 2021માં ન્યૂઝ ક્લિક અને ન્યૂઝ લોન્ડ્રીની ઓફિસમાં પણ આવી જ કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. એડિટર્સ ગિલ્ડે કહ્યું છે કે આવકવેરા વિભાગે દૈનિક ભાસ્કર અને ભારત સમાચાર સામે પણ સર્વેની કાર્યવાહી કરી હતી. ફેબ્રુઆરી 2021માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ન્યૂઝ ક્લિકની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરેક કેસમાં સરકાર વિરુદ્ધ સમાચાર સંસ્થાઓના વિવેચનાત્મક કવરેજના સંદર્ભમાં દરોડા અને સર્વે હાથ ધરવામાં આવ્યા હતા.
એડિટર્સ ગિલ્ડના પ્રમુખ સીમા મુસ્તફા, મહાસચિવ અનંત નાથ અને ખજાનચી શ્રીરામ પવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વલણ બંધારણીય લોકશાહીને દબાવવા માટે બની ગયું છે. એડિટર્સ ગિલ્ડે પત્રકારો અને મીડિયા સંસ્થાઓના હિતોના રક્ષણ માટે આવી કાર્યવાહીમાં સંપૂર્ણ કાળજી અને સંવેદનશીલતાની માંગ કરી છે. એડિટર્સ ગિલ્ડે એમ પણ કહ્યું છે કે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી તપાસ નિયમો અનુસાર થાય અને સ્વતંત્ર મીડિયાને હેરાન કરવાના સાધન તરીકે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ પણ વાંચો: Horse Shoe Crabs/આ છે ડાયનાસોર કરતા પણ જૂનો જીવ, તેના એક લીટર લોહીની કિંમત છે 11 લાખ રૂપિયા