@અમિત રૂપાપરા
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વિહિકલને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ઇલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ કરતા લોકોને અગવડતા ન પડે એટલા માટે ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ સુવિધા ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરતા લોકોને મળે તે દિશામાં કામગીરી કરવાની કવાયત પણ સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 25 જેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આ ચાર્જિંગ સ્ટેશન પર ઇલેક્ટ્રીક કારને ચાર્જિંગ કરવાની ફેસિલિટી આપવામાં આવી રહી છે. ત્યાં ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કે થ્રી વ્હીલરને ચાર્જિંગ કરવા માટેની કોઈ સુવિધા નથી પરંતુ હવે આગામી દિવસોમાં આ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા કેન્દ્ર સરકારના સહયોગથી નવા વધુ 25 ચાર્જિંગ સ્ટેશનો બનાવશે અને આ તમામ ચાર્જિંગ સ્ટેશન પર ઇલેક્ટ્રીક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે પણ ચાર્જિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા હવે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર ચલાવતા લોકોને વધુ સુવિધા પૂરી પાડશે. એટલા માટે જે નવા 25 ચાર્જિંગ સ્ટેશનો કેન્દ્ર સરકારની મદદથી ઉભા કરવામાં આવશે તેમાં ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર ચાર્જ થઈ શકે તેવી સુવિધા ઉભી કરાશે. તેમને એવું પણ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વ્હીકલના ઉપયોગમાં દેશમાં સુરતનો શેર 2 ટકા અને ગુજરાતમાં 15 ટકા છે. મહત્વની વાત છે કે, અગાઉ જ્યારે 25 ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે સુરતમાં ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા ઓછી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોટાભાગે લોકો ઈલેક્ટ્રીક વાહનની ખરીદી તરફ વળ્યાં છે અને એટલા માટે સુરતમાં ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે અને ખાસ કરીને લોકો ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવાનું વધારે પસંદ કરે છે અને એટલા માટે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ માટે હવે જે નવા 25 ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે તેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ચાર્જ થઈ શકે તે પ્રકારની સુવિધા પણ ઊભી કરાશે.
આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ
આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા
આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે