ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ છે. આંદોલનને પગલે ખેડૂતો હાલમાં શંભુ-ખનૌરી બોર્ડર પર ઉભા છે. દરમિયાન આજે યુનાઈટેડ કિસાન મોરચા (SKM)ની બેઠક યોજાવા જઈ રહી છે. આમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ વધ્યો છે. દરમ્યાન આંદોલનમાં એક ખેડૂત અને બે પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે. ખેડૂતના મૃત્યુ માટે સંગઠન સરકારને જવાબદાર માને છે જ્યારે ફરજ પર તૈનાત બે પોલીસકર્મીઓ પણ આંદોલનને પગલે તબિયત લથડતા મૃત્યુ પામ્યા છે. ખેડૂત નેતાના મોતને લઈને હરિયાણા પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે કે ‘ખેડૂત આંદોલનમાં કોઈ પણ નેતાનું મોત થયું નથી. આ એક અફવા છે.’
સરકાર ખેડૂતો સાથે કરશે બેઠક
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતો અમારા ‘ભાઈઓ’ અને ‘અન્નદાતા’ છે અને કેન્દ્ર સરકાર તેમની સાથે વાતચીત માટે તૈયાર છે. ઠાકુરે કહ્યું કે મોદી સરકારે ખેડૂતોની વધુ આવક સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધા છે. ઠાકુરે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) બમણા કર્યા છે અને પ્રાપ્તિમાં પણ બમણાથી વધુ વધારો કર્યો છે. ઠાકુરે કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘઉં, ડાંગર, તેલીબિયાં અને કઠોળની ખરીદી પર રૂ. 18.39 લાખ કરોડનો ખર્ચ કર્યો છે જ્યારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે રૂ. 5.5 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.
સરકાર જવાબદાર
યુનાઈટેડ કિસાન મોરચાએ કહ્યું છે કે વિરોધ દરમિયાન માર્યા ગયેલા ખેડૂતના મૃત્યુ માટે સરકાર જવાબદાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિસાન મોરચા સાથે થયેલા કરારનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. વર્તમાન કટોકટી અને ખેડૂતોના મૃત્યુ માટે તેમના મંત્રીઓ જવાબદાર છે.
હરિયાણા અને પંજાબની સરહદ ખનૌરીમાં તણાવ વધ્યો હતો. ગત રોજ 21 ફેબ્રુઆરીએ સુરક્ષાકર્મીઓ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થતા ખનૌરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે ખેડૂત નેતાઓનું કહેવું છે કે પંજાબ-હરિયાણાસ્થિત ખનૌરી બૉર્ડર પર પોલીસ અને ખેડૂત વચ્ચેના સંઘર્ષના પરિણામે એક ખેડૂતનું કથિતપણે ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે. આંદોલનકારીઓને નિયંત્રણ કરવા પોલીસે માર્ચ કરી રહેલા ખેડૂત નેતાઓ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા. ખનૌરી બોર્ડર પર તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. ખેડૂત યુવકના મૃત્યુ થયાનું સંયુક્ત કિસાન મોર્ચા (બિનરાજકીય)ના નેતા જગજિતસિંહ દલ્લેવાલે મીડિયામાં માહિતી આપી. તેમજ પટિયાલાની એક સરકારી હૉસ્પિટલે પણ શુભકરણસિંહ નામના યુવકના મૃત્યુની પુષ્ટિ કરી છે. યુનાઈટેડ કિસાન મોરચાએ ખેડૂતના મોત માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. જ્યારે હરિયાણા પોલીસે ખેડૂત યુવકના મૃત્યુની વાતને અફવા ગણાવી છે.
પોલીસ કર્મીઓના મોત
ખેડૂત આંદોલનમાં શંભુ બોર્ડર પર તૈનાત ESI કૌશલ કુમારનું ફરજ દરમ્યાન મૃત્યુ થયું. આંદોલનને પગલે ESI કૌશલ કુમારને શંભુ બોર્ડર પર તૈનાત કરાયા હતા ત્યારે અચાનક તબિયત બગડતા તેમને અંબાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. અગાઉ 16 ફેબ્રુઆરીએ શંભુ બોર્ડર પર તૈનાત અન્ય એક પોલીસકર્મીનું ફરજ પર મોત થયું હતું. 16 ફેબ્રુઆરીએ જીઆરપી સબ-ઈન્સ્પેક્ટર હીરાલાલનું અચાનક તબિયત લથડતા મોત નિપજ્યું હતું. હરિયાણા પોલીસના બે પોલીસ કર્મીઓ કે જેઓ શંભુ બોર્ડર પર ફરજ બજાવતા મૃત્યુ પામ્યા. હરિયાણા પોલીસ અને કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન દરમ્યાન પોલીસકર્મીઓના મોત બદલ શોક વ્યક્ત કર્યો.
ખેડૂતો માંગ પર અડગ
ખેડૂતો પોતાની માંગ પર અડગ છે તેઓ કોઈપણ બાબત પર સંમત થવા તૈયાર નથી. પોતાની તમામ માંગ સરકાર પૂર્ણ કરે તેવા હઠાગ્રહ સાથે ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું છે. ખેડૂતોની MSP કાનૂન સહિતની માંગને લઈને ખેડૂત સંગઠન નેતા અને સરકારના મંત્રીઓ વચ્ચે બેઠકો થઈ પરંતુ તેના કોઈ નિર્ણાયક પરિણામ ના આવ્યા. સરકારના ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે બેઠક થવાની સંભાવના છે. સંભવત આ બેઠકમાં ખેડૂતોના આંદોલનનો માર્ગ નીકળે શકે.
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી