Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના બહાદરપુર ગામે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં 18 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ જેવી અસર થતા અફરા-તફરી મચી ગઈ છે.કેટલાક બાળકોને તાવ, સર્દી–ખાંસી અને શરીરમાં નિર્બળતા જોવા મળતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને આરોગ્ય તંત્ર સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ સતર્ક બન્યું છે. બીજી તરફ, ઇનચાર્જ પ્રિન્સિપાલે બનાવ અંગે સંતોષકારક જવાબ ના આપતા વધુ સવાલો ઉભા થયા છે.
છોટાઉદેપુર જિલ્લાના બહાદરપુર ગામમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં આજે સવારે અચાનક 18 જેટલા વિદ્યાર્થીઓની તબિયત બગડતા હાહાકાર મચી ગયો.વિદ્યાર્થીઓને ઉલટી, ચક્કર તથા શરીરમાં વધેલી અશક્તિ જેવી અસરો થતા તેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
18 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની શંકા
2 વિદ્યાર્થીઓને તાવ
3 ને સર્દી–ખાંસી
4 વિદ્યાર્થીઓને અશક્તિ અને બોડી પેઇન
ઘટના બાદ તાલુકા અને જિલ્લા આરોગ્ય તંત્ર શાળામાં દોડી આવ્યું. રસોડા અને પીવાના પાણીના સેમ્પલ લઈને લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગે બાળકોની સ્થિતિ કંટ્રોલમાં હોવાનું જણાવ્યું છે, પરંતુ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગ જ હોય તેમ લાગી રહ્યું છે
તાલુકા હેલ્થ ઓફિસર અને ટીમ દ્વારા રાખવામાં આવેલા અવલોકનમાં રસોડાની સ્થિતિ શંકાસ્પદ જણાતા, બાળકોના ભોજનથી જ અસર થઈ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ આગામી 72 કલાક શાળામાં જ તૈનાત રહેશે.
વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થવાની જાણ થતા તાત્કાલિક તપાસ માટે પહોંચ્યા હતા. પ્રાથમિક નજરે ફૂડ પોઇઝનિંગજ લાગી રહ્યું છે. સેમ્પલ લેબમાં મોકલ્યા છે, રિપોર્ટ બાદ જરૂર મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું
પ્રિંસિપાલે બનાવ અંગે ‘વાતાવરણની અસર હોઈ શકે’ એવો જવાબ આપ્યો અને સાથે કહ્યું કે, “ઘણા વિદ્યાર્થીઓને વાલીઓ બહારથી જમવાનું લાવે છે.”પરંતુ પ્રશ્ન એ છે કે કૅમ્પસમાં બહારનું જમવાનું લાવવાનો પ્રતિબંધ હોવા છતાં તે અંદર કેમ લાવવામાં આવી રહ્યું છે? આ સવાલે જ સમગ્ર ઘટનામાં વધુ શંકા ઊભી કરી છે.
ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ શાળામાં સમયસર પહોંચ્યુ ન હતું શંકાસ્પદ ખોરાકને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે જ્યારે નમૂનાઓ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
@ સુલેમાન ખત્રી

