ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે વય સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું. તેઓ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. 95 વર્ષીય દત્તાજીરાવ ગાયકવાડ બિમારીના પગલે છેલ્લા 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે સવારે તેમણે બરોડાની હોસ્પિટલમાં આઈસીયુમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું પરિવારના એક સૂત્રએ જણાવ્યું હતું.
ઇરફાન પઠાણ
હાલમાં કોમેન્ટ્રીટર બનેલ ક્રિકેટર ઇરફાન પઠાણે દત્તાજીરાવ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે લખ્યું છે કે મોતીબાગ ક્રિકેટ મેદાનમાં બરગદના ઝાડ નીચે પોતાની મારુતિ કાર પાર્ક કરનાર દત્તાજીરાવ ગાયકવાડ ઉર્ફ D.K. ગાયકવાડના અથાગ પરિશ્રમ અને મહેનતાના પરિણામે બડૌદા ક્રિકેટે યુવા પ્રતિભાની શોધ કરી. જેઓએ ભારતીય ટીમમાં પણ મહત્વનું સ્થાન મેળવ્યું. ક્રિકેટ જગતને તેમની ગેરહાજરી મોટી ખોટ બની રહેશે.
દત્તાજીરાવ ગાયકવાડ
દત્તાજીરાવ ગાયકવાડ 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેમણે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. જમણા હાથના બેટ્સમેન એવા દત્તાજીરાવ ગાયકવાડ 1952માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું અને તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ચેન્નાઈ ખાતે 1961માં પાકિસ્તાન સામે હતી. ગાયકવાડે 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
દત્તાજીરાવ ગાયકવાડ 47.56ની એવરેજથી 3139 રન બનાવ્યા જેમાં 14 સદી સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 1959-60 સીઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો. 2016માં તેઓ ભારતનો સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યો હતા. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. ભૂતપૂર્વ બેટ્સમેન શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે.
અંશુમાન ગાયકવાડ
નોંધનીય છે કે દત્તાજીરાવ ગાયકવાડ ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડના પિતા છે. જેઓ 40 ટેસ્ટ મેચ અને 15 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકયા છે. જૂન 2018માં, અંશુમાન ગાયકવાડને BCCI દ્વારા ભૂતપૂર્વ ખેલાડીને આપવામાં આવતો સર્વોચ્ચ ‘સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અંશુમન ગાયકવાડે GSFC (વડોદરા) માટે કામ કર્યું હતું.