હિન્દુ ધર્મમાં દાન, પુણ્ય સહિત ધાર્મિક સ્થળોની યાત્રાનું વિશેષ મહત્વ વર્ષો થી રહેલું છે. પરંતુ પરિવારની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને કારણે અમુક લોકો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ધાર્મિક સ્થળોની યાત્રા માત્ર એક સ્વપ્ન બની જાય છે. ત્યારે સુરેન્દ્રનગરના વરિષ્ઠ નાગરિકો એટલે કે વડીલો જેઓએ ક્યારેય યાત્રા ન કરી હોય તેમના માટે સુરેન્દ્રનગરનાં સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલ એ વિના મૂલ્યે અટલ યાત્રાનું આયોજન કર્યું છે.
સુરેન્દ્રનગર ખાતે રહેતા અને જોરાવરનગર ખાતે કાર્યરત શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ જેઓ વર્ષો થી જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને મદદરૂપ થઈ વિના મૂલ્યે અનાજ કીટ, તહેવારો પર મીઠાઈ વિતરણ, કપડાં વિતરણ વગેરે નિશુલ્ક કરી રહ્યા છે. ત્યારે હવે ચંદ્રેશભાઇ પટેલ દ્વારા પોતાના સ્વર્ગસ્થ માતા અને પિતાની યાદમાં અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે ખાસ અટલ યાત્રાનું આયોજન કર્યું છે.
ફૂલ ૨૫ બસ દ્વારા આ અટલ યાત્રા કાઢવામાં આવશે. જે પૈકી પ્રથમ ત્રણ બસ આજે તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિતે ધાર્મિક સ્થળોની યાત્રા માટે રવાના કરવામાં આવી હતી. આ પ્રથમ ત્રણ બસમાં અંદાજે ૧૭૦ થી વધુ વૃદ્ધ વડીલો ઉજજૈન, ઓમકારેશ્વર, હરસિધ્ધિ માતાજી સહિતના સ્થળોના દર્શન કરશે. અટલ યાત્રા અંતર્ગત ઉપડનાર તમામ બસનો ખર્ચ સહિત રહેવા અને જમવાનો ખર્ચ પણ સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આજના કળિયુગમાં એક સગો દીકરો પોતાના માતા પિતા સાથે યોગ્ય વર્તન ન કરતા હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સેવાભાવી યુવાન ચંદ્રેશ પટેલ દ્વારા સ્વર્ગસ્થ માતા પિતાની યાદમાં અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિતે વડીલો માટે નિ:શુલ્ક અટલ યાત્રાનું આયોજન કરી સમાજને ઉતમ અને પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડયું છે.