ઓક્સિજનના અભાવે કોઈનું મોત ના થાય તે માટે ભાવનગરના એક સેવાભાવીએ સ્વખર્ચે સાધનો વસાવી નિઃશુલ્ક સેવા શરૂ કરી. 50 ઓક્સિજન સિલિન્ડર અને જરુરી સાધનો વસાવી સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો.
ભાવનગર શહેરમાં કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત થયેલાં અને ઓક્સિજન કે જે હાલ પ્રાણવાયુ સમાન બન્યો છે. જેના અભાવે જીવન-મરણ વચ્ચે ઝૂલા ખાતાં દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરની કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિ:શૂલ્ક સેવા પુરી પાડતાં સેવાભાવી યુવાને અંધાધૂંધીના માહોલમાં આશા રૂપી જયોત જલાવી આજનાં યુવાઓને નવો રાહ ચીંધ્યો છે. એક તરફ સદિની સૌથી મોટી મેડિકલ ઈમરજન્સી ચાલી રીહી છે. લોકોને તબીબી સારવાર, દવા કે મેડીકલ ઉપકરણો નથી મળી રહ્યા ત્યારે એક સેવાભાવી યુવાને એક દુઃખદ ઘટના માથી પ્રેરણા લઈને અનોખી સેવાનો સુંદર શમિયાણો શરૂ કર્યો છે. અને આ આફતના અવસરે માનવસેવા કાજે તત્પર થઈ લોકોને રાહ ચિંધ્યો છે. એક તરફ તકવાદી લેભાગુઓ દિન-દુઃખી લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી બેફામ નાણાં ખંખેરી રહ્યાં છે. ત્યારે કેટલાક માનવતાના મસીહાઓએ ભોજન,આરોગ્ય, સહિતની સેવાઓ ના સેવાયજ્ઞો શરૂ કરી કળીયુગમાં માનવતાનો ઉત્કૃષ્ટ પરચો પણ પુરો પાડી રહ્યા છે.
આવા જ એક માનવ સેવાનો સુંદર સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ભાવનગર હિરા બજાર સાથે સંકળાયેલા અને ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસીયા સામાજિક સેવા સાથે અન્ય માનવસેવા ના સુંદર કાર્યો કરે છે તાજેતરમાં એમના એક સબંધી કોરોના થી ગંભીર રીતે સંક્રમિત થયા હતા અને એ સમયે કોઈ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવા માટે ની તત્કાળ આવશ્યકતા હતી. પરંતુ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાનાં કારણે દવાખાનામાં દર્દીને દાખલ કરી શકાય એવી સ્થિતિ ન હોય બીજી તરફ ઓક્સિજનના અભાવે પેશન્ટ ની સ્થિતિ કથળી રહી હતી અને તબીબોના અભિપ્રાય મુજબ દર્દીને તત્કાળ પ્રાણવાયુ પુરો પાડવામાં આવે તો તેમનો જીવ બચી જાય આથી આ ચેલેન્જનું બિડૂ ઉપાડી ઘનશ્યામભાઈએ પોતાની આગવી કોઠાસૂઝની મદદથી પ્રાણવાયુની જરૂરિયાત વાળા દર્દીને ઓક્સિજન પુરૂ પાડી તેનો જીવ બચાવવાં મદદરૂપ બન્યા.
બસ આ ઘટના પરથી શિખ મેળવી સેવાભાવી યુવાન ઘનશ્યામભાઈએ સ્વખર્ચે 50 સિલિન્ડર, ઓક્સિજન મેનેજ વાલ્વ, માસ્ક પણ વસાવ્યા અને તેના મિત્ર વર્તુળ તથા સોશ્યિલ મિડીયાના માધ્યમ થઈ આ સેવાનો બહોળો પ્રચાર કરી જરૂરિયાત મંદોને પ્રાણવાયુ પુરૂ પાડવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે ઓક્સિજન સિલિન્ડર, મિટર જરૂરિયાત મંદો ને આપવા માટે એકપણ રૂપિયો કે ડિપોઝિટ નથી લેવાતી માત્ર દર્દીનું નામ તથા મોબાઈલ નંબર ની નોંધણી કરી ઓક્સિજનની સેવા પુરી પાડવામાં આવી રહી છે. આ સેવા અંગે ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે મહામારીના કાળમાં આપડા દ્વારા એક નાનકડા પ્રયત્ન થકી કોઈ નો જીવ બચતો હોય તો આથી મોટી સેવા બીજી શું હોય શકે…?!