ભારતીયોમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે. વિદેશ જવા વિઝા લેવા સૌથી મોટી સમસ્યા બને છે. પરંતુ એવા કેટલાક દેશો છે જે મફતમાં વિઝા આપે છે. શ્રીલંકા અને થાઈલેન્ડમાં વિઝા મફત આપવામાં આવતા લોકો વધુને વધુ પ્રવાસ કરી રહ્યા છે. જેના બાદ હવે મલેશિયા પણ ભારતીયોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપશે. આ સાથે ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારા દેશમાં શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ બન્યો છે. હાલમાં મલેશિયામાં સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, તુર્કી, જોર્ડનના નાગરિકોને આ સુવિધા મળે છે.
મલેશિયા હવે આર્થિક વિકાસ માટે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપશે. જો કે મલેશિયા સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફ્રી વિઝા સેવા સુરક્ષા મંજૂરીને આધીન રહેશે. વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે આ મામલે જણાવ્યું કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા અને હિંસાનું જોખમ ધરાવતા લોકોને આ છૂટનો લાભ મળશે નહીં. સરકારી વિભાગ દ્વારા ટૂંક સમયમાં ફ્રી વિઝા સંબંધિત નિયમોની માહિતી જાહેર કરવામાં આવશે તેમ આ મામલાના મલેશિયાઈ અધિકારીએ જણાવ્યું.
વિશ્વના અનેક દેશો આર્થિક પ્રગતિ સાધવા એકબીજા દેશો સાથે સહયોગ વધારી રહ્યા છે. આર્થિક વિકાસને ગતિ મળે માટે શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ મલેશિયા પણ મુસાફરીને પ્રોત્સાહન આપી રહ્યું છે. જે અંતર્ગત લોકો વધુ ને વધુ મુલાકાત કરે તે હેતુસર મલેશિયાએ ભારતીયો માટે 30 દિવસ ફ્રી વિઝા સેવા આપવાની જાહેરાત કરી. મહત્વનું છે કે આ પહેલા મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. જ્યારે ચીન દ્વારા પણ મલેશિયાના નાગરિકો માટે 15 દિવસની વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી.
છેલ્લા દાયકામાં વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. આંકડા અનુસાર વિદેશ પ્રવાસ કરનાર ભારતીયોની સંખ્યા 1.4 થી વધીને 2.7 કરોડ થઈ છે. જોકે કોવિડ રોગચાળાને કારણે પ્રવાસન ક્ષેત્રને ગંભીર અસર થઈ હતી. પરંતુ લોકડાઉન પ્રતિબંધો હળવા થયા બાદ પ્રવાસી ક્ષેત્રમાં મુસાફરોની અવરજવર ફરી વધતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. આ જ બાબતોનો લાભ લઈ મલેશિયાએ પણ વિઝા નિયમો હળવા કરતા ભારતીય નાગરિકોને નિશ્ચિત દિવસ માટે ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી.
આ પણ વાંચો : Unseasonalrain/ કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું
આ પણ વાંચો : Israel Hamas War/ એલોન મસ્ક ઈઝરાયલના PM નેતન્યાહુને મળશે
આ પણ વાંચો :અમદાવાદના ચાંદલોડિયા, જગતપુર, છારોડી, ત્રાગડમાં સ્ટોર્મ વોટેર ડ્રેનેજ લાઇનને મંજૂરી