અમદાવાદ: Gujarat માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી રહેલા સતત વરસી રહેલા ભારે વરસાદના લીધે અનેક જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી રહી છે. ગાંધીનગર સ્થિત રાજયના પૂર નિયંત્રણ એકમ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયના 13 જળાશયો છલકાઇ ગયા હોવાથી તેને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે પાંચ ડેમો (જળાશયો)ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય 12 જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ રહી હોવાથી આ ડેમોના નીચાણવાળા વિસ્તારો માટે સ્થાનિક લેવલે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ રહી છે. આજની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી 111.24 મીટર પર પહોંચી ગઈ છે. એટલે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ૩૯.૭૯ ટકા જેટલો ભરાયો છે.
રાજ્યમાં જે ડેમો સૂંપર્ણ ભરાઇ ગયા છે તેમાં નવસારી જિલ્લાનો ઝૂંજ, અમરેલીનો વડિયા, જામનગરનો પુના, ભાવનગરનાં રોજકી અને બગડ, ગીર-સોમનાથનો મચ્છુન્દ્રી, જામનગરનો ઉન્ડ-3, નવસારીનો કેલિયા અને તાપી જિલ્લાનો દોસવાડા ડેમ (જળાશય) સંપૂર્ણ ભરાઇ ગયા છે. આ તમામ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના રાવલ અને શિંગોડા ડેમ, રાજકોટ જિલ્લાનો ભાદર-2, જૂનાગઢના ઓઝત-2 અને મધુવંતી સહીત કુલ ૧૩ જળાશયોને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
જયારે રાજયના તમામ જળાશયોનો કુલ જથ્થો ગણીએ તો, હાલની સ્થિતિએ ગુજરાતના તમામ જળાશયોનો સરેરાશ જથ્થો 34.41 ટકા છે. એટલે કે, ગુજરાતમાં તમામ જળાશયો (નર્મદા ડેમ સહિત)ની કુલ સંગ્રહ ક્ષમતાની સામે આ જળાશયોમાં 34.42 ટકા પાણીનો જથ્થો ભરેલો છે.
અતિભારે વરસાદને અનુલક્ષીને જોઈએ તો આજની સ્થિતિએ કચ્છની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. કેમ કે, કચ્છ જિલ્લાના જળાશયોમાં હવે માત્ર ૪.૪૨ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે, ત્યારે કચ્છમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.
જયારે સૌરાષ્ટ્રના તમામ જળાશયોમાં આજની સ્થિતિએ ૩૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને આમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના તમામ જળાશયો ૮૫ ટકા જેટલા ભરાઇ ગયા છે.
૧૮ જુલાઈને આજે બુધવારે સવારની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ ૪૩.૮૩ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. જયારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આશરે ૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે.