ગાંધીનગર,
ગુજરાતના કાયમી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ની નિમણુંકને લઇ જોવા મળતી અસમંજસતાઓનો બુધવારે અંત આવ્યો છે. ૧૯૮૩ કેડર બેચના IPS અધિકારી શિવાનંદ ઝાની રાજ્યના કાયમી ડીજીપી તરીકે વરણી કરવામાં આવી છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શિવાનંદ ઝાના નામની જાહેરાત કરી હતી. શિવાનંદ ઝા હાલમાં નિવૃત્ત થઇ રહેલા ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારનું સ્થાન લેશે.
આ સાથે છેલ્લા ૨૨ મહિના બાદ રાજ્યને કાયમી ડીજીપી મળ્યા છે. શિવાનંદ ઝા વર્ષ ૨૦૨૦ના અપ્રિલ મહિના સુધી ગુજરાતના કાયમી DGP તરીકે કાર્યરત રહેશે.
માનવામાં આવી રહ્યું છે કે, ૧૯૮૩ કેડર બેચના IPS અધિકારી શિવાનંદ ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વિશ્વાસુ હોવાથી તેમજ ૨૦૧૯ની આગામી લોકસભાની ચૂંટણીને જોતા તેઓની આ મહત્વપૂર્ણ પદ માટે પસંદગી કરવામાં આવી છે.
શિવાનંદ ઝા હાલ ગુજરાત IBના પ્રમુખ તરીકે પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. આ પહેલા તેઓ સુરત અને અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને આ સમય દરમિયાન તેઓની કાનૂની પકડ જોવા મળી હતી.
મહત્વનું છે કે, ૨૨ મહિના પહેલા પી સી ઠાકુરની બદલી થયા બાદ રાજ્યમાં આ પદ ખાલી પડ્યું હતું. પી સી ઠાકુર બાદ રાજ્યમાં કાર્યકારી ડીજીપી તરીકે પી પી પાન્ડેય, ગીતા જોહરી અને ત્યારબાદ પ્રમોદ કુમારની વરણી કરવામાં આવી હતી.