અમદાવાદ: શહેરના તૂટેલા રોડ મુદ્દે ચૂકાદા પછી પણ કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે સરકાર અને અમદાવાદ મ્યુનિ.ને ચેતવણી આપી હતી કે. ‘નાગરિકોના ધીરજની કસોટી ના કરો, 15 દિવસ સુધી તમે કોઇ પગલા લીધા હોય તો બતાવો.’ આ મામલે અમદાવાદ મ્યુનિ. કોઈ જવાબ રજૂ કરી શકી નહીં. આથી હાઇકોર્ટે 16 જુલાઈએ હુકમના અમલવારીનો અહેવાલ રજૂ કરવા માટેની તાકીદ કરી છે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે ટ્રાફિક શાખાને પૂછ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે તમે શું પગલા લીધા, જ્યાં સુધી યોગ્ય તાલીમ નહીં આપો ત્યાં સુધી પોલીસ વધારવાથી કંઇ થશે નહીં. હાઇકોર્ટની સામે જ પીવીઆર માટેનું બિનસત્તાવાર પિકઅપ પોઇન્ટ બની ગયું છે. જ્યાં સુધી કોઇ વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી નક્કી નહીં કરીએ ત્યાં સુધી કંઇ જ થશે નહી એમ લાગે છે. શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ ખૂબ જ ખરાબ છે.
તમારે સમસ્યા રસ્તા પર ઉતરીને શોધવાની જરૂર છે. જો તમે શહેરની કોઈ પણ ક્લબ, હોસ્પિટલ, સ્કૂલ, મોલ કે ક્યાંયથી પણ ગેરકાયદેસર પાર્કિંગ દૂર કર્યા હોય તો બતાવો. જો સાચી ભાવનાથી હુકમનું પાલન ન થાય તો કોઇ મતલબ નથી. આ હુકમને 15 દિવસ થઈ ગયો હોવા છતાં તમે કંઇ કર્યું હોય તો તે બતાવો. માત્ર ઇરાદાનો જ સવાલ નથી તમારી ઇચ્છા શક્તિનો જ અભાવ છે.
એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે સર્વિસ રોડ ક્યાં છે, નાગરિકોના ધીરજની પણ એક મર્યાદા હોય છે, તે મર્યાદા જયારે પૂરી થઈ જશે તો ત્યારે મુશ્કેલી પડશે. સમસ્યાની જડ અમે બતાવી છે પણ ત્યાં સુધી પહોંચી તેને નાબુદ કરવાનો કોઇ પ્રયત્ન કર્યો નથી. એટલું જ નહીં, તમે 10 ટકા કામ પણ કર્યું હોય તે તો કહો. શહેરના થલતેજ, કર્ણાવતી ક્લબ, સોલા બ્રિજ, નહેરુનગર, સહીત અનેક ચાર રસ્તાઓ પરની સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર જ છે.
સરકારે કાર્યવાહી કરવા માટે વધુ એક તક માંગી
હાઇકોર્ટે પોલીસને આડે હાથ લેતાં કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસને એ પણ ખબર નથી કે ટ્રાફિકને રોકવાનો ક્યાં છે, આ માટે યોગ્ય તાલીમનો અભાવ છે. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, અમને વધુ એક તક આપો, અમે હુકમના પોઇન્ટ સમજીને કડક પગલા લઇશું. અમે ખરા દિલથી હુકમનો અમલ કરાવીશું. અમારા પ્રયત્નમાં કદાચ ખામી હોઇ શકે પરંતુ કાયદાના પાલન અમે માટે ગંભીર છીએ.
સરકારે કહ્યું ફેન્સીંગ ચોરાઈ ગઈ છે
હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે, અમે ખૂબ જ તકલીફ અને દર્દ સાથે ચુકાદો આપ્યો હતો. એટલું જ નહીં, હાઈકોર્ટ સોલા બ્રિજ પર લોકોની અવર જવર રોકવા લગાવેલી ફેન્સિંગ ઉખડી જવાના મુદ્દે હાઈકોર્ટે પૂછતાં સરકારે કહ્યું હતું કે, ફેન્સિંગ ચોરાઈ ગઈ છે.