અમદાવાદ: અમદાવાદના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં એક પછી એક અવનવાં ખુલાસાઓ થઈ રહ્યાં છે. જેમાં ભોગ બનનાર પીડિતાએ ક્રાઇમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટ સામે ખૂબ ગંભીર આરોપો લગાવ્યા છે. ભોગ બનનાર પીડિતાએ છેલ્લા 48 કલાકથી અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમના પ્રશ્નોના જે રીતે જવાબ આપ્યાં છે તે જણાવતાં મીડિયાની સમક્ષ રડી પડી હતી.
પીડિતાને સ્ટેટમેન્ટ બદલવાનું જેસીપી ભટ્ટે કહ્યું
આ કેસની પીડિતા યુવતીએ ક્રાઇમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટની સામે ગંભીર પ્રકારના આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ‘તેમણે મારી સામે ઘણાં ઉંચા અવાજમાં ઘણી ખરાબ રીતે વાત કરી છે. તેમણે અનેકવાર એકના એક સવાલો પૂછ્યાં હતાં. તેમણે મારી સાથે એક ક્રિમિનલ જેવો વ્યવહાર કર્યો હતો. તેમણે કાલે અનેકવાર પોલીસ સ્ટેશનમાં બોલાવીને મને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. મારી આટલી બધી ઉલટ તપાસ થઇ રહી છે, જેમાં મને અનેકવાર નિવેદનો બદલવાનું કહેવામાં આવી રહ્યું છે તેના કારણે જ આજે મારે મીડિયા સામે આવવું પડ્યું છે.
જેસીપી ભટ્ટે કહ્યું, ‘વૃષભ તો ગાય જેવો છે’
પીડિતાએ મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે, જેસીપી જે. કે. ભટ્ટે મને એવું પણ કહ્યું હતું કે, વૃષભ તો ફુદ્દુ જેવો છે, તે તો ગાય જેવો છે. તે આવું કાંઇ કરી જ ન શકે. જો તું ઇચ્છે તો આ આખો કેસ બદલી નાંખીએ અને તેમની સામે ચિટીંગના આરોપો મુકીને તેને થોડી સજા કરાવી દઇએ. તું તારૂ સ્ટેટમેન્ટ બદલી નાંખ. આ અંગે પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, જેસીપી જે. કે. ભટ્ટની આવી માંગણીઓથી બધા સમજી જ શકે છે કે, આ આખા મામલામાં તે શું કરવા માંગે છે.
જેસીપી જે. કે. ભટ્ટે એવું પણ કહ્યું કે, ‘રેપ શું છે તે અમે નક્કી કરીશું’
પીડિતાએ મીડિયાને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જેસીપી જે. કે. ભટ્ટે મારી સાથે એક કે બે બખત નહીં પણ અનેકવાર ખરાબ રીતે વાત કરી છે. તેમણે મને એટલે સુધી કહી દીધું હતું કે જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો, તેને ‘રેપ’ ન કહેવાય. ‘રેપ’ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.
આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો: પીડિતા
જેસીપી જે. કે. ભટ્ટના દબાણને કારણે મને કાલે આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો હતો એટલે આજે હું જીવતી છું. હું સાચી છું અને હું આ લડાઇ લડીને જ રહીશ. મારી એટલી માંગ છે કે આ કેસમાં ક્રાઇમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટને હટાવવામાં આવે અને કોઇ નિષ્પક્ષ મહિલા ઓફિસરને આ કેસ સોંપવામાં આવે.
આ કેસમાંથી જેસીપી ભટ્ટને દૂર કરો: પીડીતાના પિતા
પીડિતાના પિતાએ પણ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમને સાચો ન્યાય મળે અને જે. કે. ભટ્ટ જેવા ઓફિસર આ કેસમાંથી બહાર નીકળી જાય તેવું અમે ઇચ્છીએ છીએ. આ કેસમાં મેજીસ્ટ્રેટ સામે અમારું નિવેદન લેવામાં આવે તેવી અમારી માગ છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે આવો કોઇ કેસ આવે તો તેના પુરાવાની તપાસ 24 કલાકમાં મહિલા ઓફિસર દ્વારા થવી જોઇએ.’
આ સમગ્ર કેસની યોગ્ય તપાસ થશે: ગૃહમંત્રી જાડેજા
ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ મામલે પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, આ સમગ્ર કેસની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. પીડિતાને ન્યાય મળે તે રીતે તપાસ હાથ ધરવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનરને આ અંગે જાણ કરવામાં આવી છે.
મહિલાઓના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવે
આ ઘટના અંગે રાજ્ય સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રી વિભાવરી દવેએ પણ આ અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મહિલાઓના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. આ ઘટનામાં કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે.