તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. પીએમની ગુજરાત મુલાકાત દરમિયાન થયેલા કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરીથી નારાજ ભાજપ હાઇકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું મોકલ્યું હતું.
આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાત ભાજપમાં સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ આ મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ધ્યાન દોર્યું હતું.
આ અંગે અમિત શાહે ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવી સખ્ત ભાષામાં પગલાં લેવા નિર્દેશ કર્યા છે. તેમજ ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ચાર દિવસ માટે ગુજરાત મોકલવામાં આવ્યા છે.
ભુપેન્દ્ર યાદવ ચાર દિવસમાં પ્રધાનમંત્રી મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લાઓમાં ભાજપની સ્થિતિ વિષેનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે.
આ રિપોર્ટના આધારે આગામી સમયમાં જિલ્લા પ્રભારીઓ તેમજ સંગઠનમાં મહત્વના ફેરફાર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને બધી જ બેઠકો મળે એ માટેની વ્યૂહ રચના કરવામાં આવશે.