ગાંધીનગર શનિવાર,
ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તાજેતરમાં જ ગુજરાત આવ્યા હતા પણ હવે તેઓ ગુજરાત છોડે તેમ લાગી રહ્યુ છે. ગુજરાત છોડવાની વાત સમજીએ તો તેઓ ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી જ મુક્ત થવા માગે છે તેમ લાગી રહ્યુ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીક ગણાતા ભુપેન્દ્ર યાદવને આગામી દિવસોમાં કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન અપાય તેવી સંભાવનાઓ છે. આ સંભાવનાને પગલે હવે ગુજરાતને નવા પ્રભારી મળે તેમ લાગી રહ્યુ છે.
ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાલ રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાતા ભુપેન્દ્ર યાદવને બંને નેતાઓએ તેમના હોમ સ્ટેટ ગુજરાતની જવાબદારી પ્રભારી તરીકે સોંપી. અગાઉ તેમણે વિધાનસભા ચૂંટણીમાં પણ વિવિધ રાજ્યોમાં જવાબાદારી સોપાયેલી જેમાં રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમને જવાબદારી સોંપાયેલી. વર્ષ 2020માં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની ઈન્ચાર્જ તરીકે નિમણુક થયેલી. તેઓ 12 જેટલી સંસદીય સમિતિઓમાં ચેરમેન તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે.
ગુજરાતના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા ભુપેન્દ્ર યાદવે ગુજરાતમાં સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ જાળવવા માટે આ વખતની મુલાકાતમાં પુરા પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં તાકતવર ગણાતા સી. આર. પાટીલ અને સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજય રુપાણીની છાવણી વચ્ચે સંકલન સાધવા ડિનર ડિપ્લોમસી પણ કરી. ખાસ કરીને તેમણે ગાંધીનગરમાં એક બંગલા ખાતે ભાજપના વર્તમાન નેતાઓ અને સાથે સાથે જ પૂર્વ સિનિયર નેતાઓ સાથે કરેલી બેઠકોથી ગુજરાત ભાજપના રાજકારણમાં ધરમૂળથી ફેરફારો આવી રહ્યા હોવાની ચર્ચાઓએ જાેર પક્ડયુ છે.
જાેકે ભુપેન્દ્ર યાદવ માટે ગુજરાતમાં એક તરફ ખાઈ અને બીજી બાજુ કૂવો જેવી પરિસ્થિતિ છે ત્યારે યાદવ પોતે જ હવે ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવા માગતા હોવાનુ જાણવા મળ્યુ છે. બીજી સંભાવના પ્રમાણે હાઈકમાન્ડની નજીક હોવાના નાતે તેમને કેન્દ્રીય કેબિનેટમાં મહત્વની જવાબદારી સોપવામાં આવી શકે છે. જાે કેબિનેટમાં તેમને સ્થાન મળશે તો ચોક્કસપણે આગામી દિવસોમાં ગુજરાતને નવા પ્રભારી મળી શકે છે.