પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તડી પાર રહેલા જયરાજસિંહને સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં પ્રવેશની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમના નિર્ણય બાદ જયરાજસિંહના ઘર બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે નિલેશ રૈયાણી હત્યા કેસમાં ગોંડલ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત 3 લોકોને કોર્ટે સજા ફટકારી હતી. આ મામલે જયરાજસિંહે જામીન માટે અરજી કરતા સુપ્રીમ કોર્ટે જયરાજસિંહ જાડેજાને ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતાં.
2004ના વર્ષમાં ગોંડલમાં નિલેશ રૈયાણી નામના યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં હાઈકોર્ટે ગોંડલના ભાજપના જે તે વખતના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત પ્રવીણસિંહ રાણા અને અમરજીતસિંહ જાડેજાને આજીવન કેદની સજા અને એક-એક લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં 13 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
હાલ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. તેઓ બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. જેલમાં ગયા પહેલા જયરાજસિંહ જાડેજા ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 1995માં તેમણે રિબડાના મહિપતસિંહને હરાવ્યાં હતા. બાદમાં તેમણે ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને પણ વિધાનસભાની ચૂંટણીમાં હાર આપી હતી.