અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અરવલ્લી સહીત અનેક જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે. રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે ગુજરાતમાં હજુ બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં પણ ગત શનિવારે સાંજે તોફાની પવન સાથે આશરે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રવિવારે અનંત ચતુર્દશીના ભગવાન શ્રી ગણેશની દશ દિવસની મૂર્તિ સ્થાપનાના વિસર્જનના દિવસે માત્ર હળવા છાંટા પડ્યા હતા. જોકે આજે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ હોઇ હવામાનમાં ઠંડક પ્રસરી છે. આ દરમિયાનમાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા શહેરમાં હજુ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
પાડોશી રાજ્ય રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં લો-પ્રેસરનું સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લીના મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. જિલ્લામાં ભારે વરસાદ આવતા ડેમમાં પાણી વધતા એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠા ઉપર આવેલા 30 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી વરસાદનુ આગમન થયુ છે. ત્યારે રાજ્યમાં કુલ 67 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે જયારે રાજ્યમાં સૌથી વધુ હિંમતનગર અને ભિલોડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ઈડરમાં સાડા ચાર ઈંચ, વિજયનગરમાં ત્રણ ઈંચ, વિજાપુરમાં અઢી ઈંચ, મેઘરજમાં સવા બે ઈંચ, વડાલીમાં બે ઈંચ, કઠલાલમાં બે ઈંચ, મહેસાણા અને મોડાસામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હોવાનો સરકારી દફતરે નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ 76.57 ટકા વરસાદ નોંધાયો છે. જેના અંતર્ગત ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 47.83 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 71.54 ટકા, સૌરાષ્ટ્રમાં 72.76 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 96.34 ટકા વરસાદ નોંધાયો છે.