ગુજરાત સરકારે કૌભાંડનો પર્યાય બની ગયેલા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિગમના અધિકારીઓ દ્વારા થોડા મહિનાઓ પહેલા સામે આવેલા કૌભાંડને લઈને ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો અને નિગમ બંધ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ દીધી છે. તો આ નિગમના 400 જેટલા કર્મચારીઓનો અન્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવશે. નિગમ હેઠળની જે યોજનાઓ કાર્યરત છે તે ચાલુ રહેશે.
મહત્વનું છે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં મેનેજિંગ ડિરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર, મદદનીશ નિયામક, ફિલ્ડ સુપરવાઈઝર પાસેથી રૂ. 60 લાખની રોકડ મળી આવી હતી.
આ સિવાય સાબરકાંઠા, પાટણ સહિતની અન્ય કચેરીઓ ખાતે તેમજ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અધિકારીઓ તરફથી લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હતી.
એસીબીએ સરકારને આપેલા કૌભાંડના રિપોર્ટ બાદ આ પગલા લેવામાં આવ્યાં છે. એસીબીના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આ નિગમમાં તમામ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેથી સરકારે તાળા મારવાનો નિર્ણય લીધો છે.