મંત્રી સૌરભ પટેલના હાર્દિકના ઉપવાસને રાજકીય ગણાવતા દિનેશ બાંભણીયાનો વળતો પ્રહાર
અમદાવાદ: PAAS નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ 11મા દિવસે પહોંચયા છે ત્યારે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલ દ્વારા હાર્દિકના આંદોલનને રાજકીય અને કોંગ્રેસ પ્રેરિત ગણાવતાં મામલો ગરમાયો છે. પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ મંત્રી સૌરભ પટેલના નિવેદન મામલે વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે કે, સરકાર પાટીદારો સામે ભેદભાવ અને વ્હાલા દવલાની નીતિ અપનાવી રહી છે. સરકારે આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માટે વાટાઘાટો માટે પહેલ કરવી જ જોઇએ. જો આમ નહીં થાય તો ગુજરાત સરકારે આ અંગેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
પાટીદાર સમાજને અનામત આપવા અને રાજ્યના ખેડૂતોના દેવાં માફી સહિતના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર સામે હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ આમરણાંત ઉપવાસ આંદોલન આજે 11મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે રાજ્ય સરકાર તરફથી કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરભ પટેલ દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને રાજકીય અને કોંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવાયું છે, જેના કારણે રાજકીય મામલો ગરમાયો છે.
હાર્દિક પટેલના ઉપવાસ સંદર્ભે વિપક્ષ અને અન્ય પાર્ટીઓના નેતાઓ દ્વારા હાર્દિક પટેલની તબિયતના ખબર પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે આ મામલે રાજ્ય સરકાર તરફથી પ્રથમ વખત નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય છે. મંત્રી સૌરભ પટેલના આ નિવેદન સામે વળતો જવાબ આપતાં પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણિયાએ આકરા પ્રહાર કર્યા હતા.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, સરકાર પાટીદારોની અવગણના કરીને આ આંદોલનને વિપક્ષ પ્રેરિત ગણાવી રહી છે. આજે મંત્રી સૌરભ પટેલ દ્વારા જે વાત કરવામાં આવી છે તેના પરથી એ સ્પષ્ટપણે જણાય છે કે, સરકાર પાટીદારો સાથે ભેદભાવ અને વ્હાલા દવલાની નીતિ રાખી રહી છે. કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય કે વિરોધ પક્ષો સમર્થન કરી રહ્યા હોય તો એને કોંગ્રેસ પ્રેરિત ન કહી શકાય. પરંતુ સરકાર દ્વારા સમાજની માંગણીઓને સાંભળવાને બદલે આજે આંદોલનને દબાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. પાટીદાર સમાજને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનું વલણ સમાજ માટે કેવું રહ્યું છે. બીજી વાત એ છે કે, સરકારે કહ્યું છે કે, એમને હાર્દિકની ચિંતા છે. જો એમને ચિંતા હોય તો જો કોઇ વ્યક્તિ સમાજ માટે કંઇ કરી રહ્યો હોય તો આ મામલે વાટાઘાટો થવી જોઇએ. વાતચીત કરીને તેનો વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. ફક્ત આને વિરોધ પક્ષનું આંદોલન ગણીને દબાવવા પ્રયાસ કરવો ન જોઇએ.
દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પહેલ નહીં કરે તો સરકારે આના પરિણામ ભોગવવા પડશે. આજે ગામેગામમાં જનઆક્રોશ ઉભો થઇ રહ્યો છે, એ જોતાં પણ સરકારે પણ વાટાઘાટો કરવા માટે પહેલ કરવી જ જોઇએ. સરકાર જો પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવા જાય છે, બર્મા સાથે વાત કરવા જાય છે, તો ગુજરાતમાં રહેતા પાટીદાર સાથે વાટાઘાટ કરવામાં એમને શું પ્રોબ્લેમ છે? આ આ અંગે તો સરકારે જ કહેવું પડશે. અનામતની માંગણી સ્વીકારે એવી અમારી કોઇ માંગણી નથી. પરંતુ વાતચીતથી જ કોઇ ઉકેલ આવશે અને એટલા માટે જ સરકારે આગળ આવીને પહેલ કરવી જોઇએ. લોકશાહીમાં પ્રજા હંમેશા મહત્વની હોય છે, એટલે સરકારે એને સાંભળવી જોઇએ અને તેનો ઉકેલ લાવવો જોઇએ.
બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ભારતમાં લોકશાહીમાં જ્યારે સરકાર સામે આંદોલન થયા છે, ત્યારે સરકારે એને વિરોધ પક્ષ પ્રેરિત જ ગણાવ્યા છે. પરંતુ આ આંદોલનનો ઉકેલ લાવવાનું સરકાર માટે ફરજિયાત છે. જો સરકારને ખબર છે કે આ વિરોધ પક્ષ પ્રેરિત હતું, તો સરકારે આટલી બધી જાહેરાતો કેમ કરી છે? સરકારે એ પણ સ્વીકારવું જ રહ્યું કે, સરકાર દ્વારા આ આંદોલન પછી જ આયોગ, ઇબીસી અને સ્વાલંબન યોજના અંગેની જાહેરાત કરી છે. તો આને વિરોધ પક્ષ પ્રેરિત કેવી રીતે ગણી શકાય? વિરોધ પક્ષની સાથે રહીને આંદોલન ન કરવું એવું બંધારણમાં ક્યાંય લખ્યું નથી.