અમદાવાદ: અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં મકાન માલિક દંપતી જે રૂમમાં સૂતાં હતાં તે જ રૂમમાંથી તસ્કરો સોનાના ઘરેણા સહીત ૬.૭પ લાખ રૂપિયાના મત્તાની ચોરી કરીને નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તસ્કરો બાથરૂમની બારીનો કાચ તોડીને મકાનના ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ જય ઝુલેલાલપાર્કમાં રહેતા અને નરોડામાં શુગર કેન્ડીની ફેકટરી ધરાવતા મનીષભાઇ તુલસીદાસ વાટવાણીએ એરપોર્ટ પોલીસ મથકમાં પોતાના ઘરે ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ મુજબ ગુરુવારે મોડી રાત્રે મનીષભાઇ અને તેમની પત્ની સાથે મકાનના પહેલા માળે તેમના રૂમમાં સૂઇ ગયા હતા અને તેમના માતાપિતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં સૂતા હતા. આ દરમિયાનમાં અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘૂસીને રૂ. ૬.૪પ લાખના સોનાનાં ઘરેણા અને ૩૦ હજાર રૂપિયા રોકડા મળીને કુલ રૂપિયા 6.75 લાખની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા.
આ ઘટના અંગે આજે વહેલી સવારે મનીષભાઇના પત્ની ઊઠીને નીચે આવ્યાં ત્યારે તેમના સાસુ-સસરાના રૂમની તિજોરી ખુલ્લી પડી હતી અને સામાન આખા રૂમમાં વેરવિખેર પડેલો જોયો હતો. આથી ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. આ પછી મનીષભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના અંતર્ગત એરપોર્ટ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કરો બાથરૂમનો કાચ તોડીને મનીષભાઇના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમના માતાપિતાના રૂમમાં જઇને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે એરપોર્ટ પોલીસ દ્વારા ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.