ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થનારા પક્ષીઓ માટે રાજ્ય સરકારે ખાસ કરુણા અભિયાન શરુ કર્યું છે. આ અંગે માહિતી આપતા રાજ્યના કેબિનેટ કક્ષાના વનમંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, 10મી જાન્યુઆરીથી લઇને 20મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 453 વેટરનરી ડોકટર, 2619 સ્વયંસેવક અને 764 ટીમ પક્ષીઓને બચાવવા કાર્યરત રહેશે.
ઉત્તરાયણ દરમ્યાન મકરસંક્રાતિ અગાઉ અને ત્યારબાદ પણ પતંગની દોરીને કારણે સેંકડો પક્ષી દોરીમાં ફસાઈને ઈજાગ્રસ્ત થાય છે અને અનેક પક્ષી જીવ ગુમાવે છે. 2017માં રાજ્ય સરકારે આ પ્રકારે અભિયાન શરુ કરીને 8303 પક્ષી બચાવ્યા હતા જેમાંથી સમયસર સારવાર મળવાને કારણે 7699 પક્ષીને નવજીવન મળી શક્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં અમદાવાદ સહિત જૂનાગઢ, મહેસાણા અને સુરતમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
હવે આ ઉત્તરાયણે મોટા શહેરોની સાથે સાથે તાલુકા કક્ષાએ પણ પક્ષીઓને બચાવવા માટે વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેટરનીટી ડોક્ટરની સાથે ફ્રી એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે.