વાયુ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ઘણી જગ્યા વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાઇ રહ્યો છે.
અમદાવાદમાં પણ સવારથી વાદળ છાયા વાતાવરણ સાથે મેધરાજાની એન્ટ્રી થઇ હતી. અમદાવાદના સેટેલાઇટ, એસ.જી હાઇવે, વસ્ત્રાપુર, સી.જી. રોડ, બોડકદેવ, વેજલપુર, જમાલપુર, લાલ દરવાજા, કાલુપુર સહિત અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.
ભાવનગરમાં વરસાદની વાત કરવામાં આવે તો રાત્રીના વિરામ બાદ વહેલી સવારથી ફરીથી મેઘરાજાની સવારી આવી. જોરદાર વરસાદ પડતા ભાવનગરવાસીઓએ ગરમીથી રાહત અનુભવી તો ભારે વરસાદને પગલે તંત્રની પોલ પણ ઉઘાડી પડી છે. ભાવનગરમાં ઘણી જગ્યાએ ભુવો પડતા વાહનો ફસાયા હતા અને ટ્રાફિકજામની સમસ્યાથી લોકોએ હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢમાં વાવાઝોડાના કારણે વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે.નરસિંહ તળાવ પાસે વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.જો કે ઝાડ પડવાની આ ઘટનામાં જાનહાનિ ટળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની અસરથી વરસાદ પડી રહ્યો છે અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ વધી રહી છે.
રાજકોટ ધોરાજીમાં વાવાઝોડાની અસર યથાવત્ જણાઈ રહી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. સ્ટેશન રોડ પરનું એક ઝાડ ધરાશાયી થતા મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. એટલું જ નહીં વીજ થાંભલો પણ તૂટી જતા મોટી જાનહાનિ ટળી હતી.રસ્તો બંધ થઈ જતા લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થવાનો સિલસિલો યથાવત્ છે.
ગીર-સોમનાથમાં દેવકા નદી બંને કાંઠે વહી રહી છે.વેરાવળમાં ભારે વરસાદના પગલે નદી બંને કાંઠે વહી રહી છે. ઓમનાથ મહાદેવ મંદિર પાસે ભરપુર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.વાયુ વાવાઝોડાની અસર હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળી રહી છે. વરસાદ પડવાના કારણે દેવકા નદી બંને કાંઠે વહી રહી છે.