અમદાવાદ,
રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લઇ આ મામલે માથું ઉચકાયું છે. એક બાજુ રાજ્યની રુપાણી સરકાર દ્વારા પેપર લીક થવાની ઘટનાને લઈ બચવા માટે ખુલાસા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં પણ સરકાર પર આરોપોના બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે. કોઈ યુઝર કહી રહ્યા છે કે, “વિકાસ લીક થઇ ગયો છે, પેપર છે કે પાઇપલાઇન”!…સહિતની અનેક કોમેન્ટો સામે રહી છે અને રુપાણી સરકાર પર ગુસ્સો ઠાલવવામાં આવી રહ્યો છે.
દિલ્હી ભાજપ અને પોલીસના અધિકારીઓ પણ હોય શકે છે શામેલ
લોક રક્ષક દળની પરીક્ષા અગાઉ જ થયેલા પેપર લીક મામલે CID ક્રાઈમની તપાસમાં પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતા, જેમાં વડોદરા મહાનગર સેવાસદનના સેનેટરી વિભાગનો કોન્ટ્રકટ કર્મચારી યશપાલસિંહ સોલંકી મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતું.
જો કે આ વચ્ચે પેપરલીક મામલે ૫ આરોપીઓ પૈકીના મુખ્ય સુત્રધાર એવા વડોદરાના યશપાલ સોલંકીને લઈને મામલો ગરમાયો છે. આ ૫ આરોપીઓ પૈકી બે લોકો ભાજપના કાર્યકર હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હવે આ મામલાના તાર વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપના ટોચના માથાઓ સાથે જોડાયા એવી શંકા જોવા મળી રહી છે.
આ ઉપરાંત કુલ ૫ આરોપીમાંથી બે ભાજપના કાર્યકર નીકળ્યા છે, ત્યારે ભાજપના જ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ આ કૌભાંડ કર્યું હોય તે વાત માની શકાય છે, જેમાં દિલ્હી ભાજપના પણ નેતા અને પોલીસની ઉચ્ચ એજન્સીઓના અધિકારીઓ પણ શામેલ હોય શકે છે.
ગુરુગ્રામથી વડોદરા આવ્યો યશપાલ
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો, યશપાલસિંહ સોલંકી પરીક્ષા અગાઉ હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી વડોદરા એરપોર્ટ પહોચ્યો હતો અને ત્યારબાદ આરોપીઓ પૈકીની ગાંધીનગરની શ્રી રામ હોસ્ટેલની રૂપલ શર્માને ફોન કરી પાંચ લાખ રૂપિયા ઉમેદવાર દીઠ લેવાની વાત કરી વોટ્સ એપ પર પેપર નો ફોટો મોકલ્યો હતો.
દિલ્હીથી જ પેપર લીક કરાયું હોઈ શકે છે
ત્યારબાદ હવે સમગ્ર કાંડ મામલે એવી માહિતી મળી છે કે, મુખ્ય આરોપી યશપાલ સિંહ દિલ્હીથી આવ્યો હતો અને વડોદરા આવી પેપર વહેતું કર્યું હતું. એટલે કે તે દિલ્હીથી જ પેપર લીક કરીને આવ્યો હતો.
સાથે સાથે સેનેટરી વિભાગનો કર્મચારી પર શંકાના વમળ સર્જાયા, જયારે વડોદરાના રાજકીય મોરચે ચર્ચા છે કે આરોપી યશપાલ સિંહ સોલંકી વડોદરા મહાનગર સેવાસદનના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
બીજી માનવામાં આવી રહ્યું છે કે, કોઈ વગદાર વ્યક્તિઓના નામ ન આવે અને તે બચી જાય તે માટે યશપાલસિંહના માથે ઠીકરું ફોડવામાં આવ્યું હોય શકે છે.