અમદાવાદ: ગુજરાત Congress ના સિનિયર નેતા અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ આજે ધારાસભ્યપદેથી રાજીનામું આપીને વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. કુંવરજી બાવળિયા બાદ કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને પૂર્વ કેન્દ્રીયમંત્રી તુષાર ચૌધરી સહિતના છ નેતાઓ ભાજપમાં જોડાવવા માટે લાઈનમાં ઉભા છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ કુંવરજી બાવળિયાને બપોર બાદ ગુજરાત સરકારમાં પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લેશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપ દ્વારા બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવાશે
Congress ના સિનિયર નેતા અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ હતા. કોંગ્રેસ પક્ષના હાઈકમાન્ડ દ્વારા તેમની નારાજગીને દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેમની નારાજગી યથાવત રહી હતી. આ નારાજગીના પગલે કુંવરજી બાવળિયાએ આજે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
આ દરમિયાનમાં મંતવ્ય ન્યૂઝને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને સાંજે ચાર વાગે રાજભવન ખાતે મંત્રી પદના શપથ લેશે. જેમાં તેમને ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રીપદનો દરજ્જો આપવામાં આવશે. જેમાં તેમને પાણી પુરવઠા વિભાગનો હવાલો સોંપવામાં આવે તેવી સંભાવના છે.
અલ્પેશ ઠાકોર અને તુષાર ચૌધરી પણ ભાજપમાં જોડાશે!
સૂત્રોના જણાવ્યા મુજબ કુંવરજી બાવળિયા બાદ ઠાકોર સમાજના યુવા નેતા અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા બાદ કોંગ્રેસના છ આગેવાનો ભાજપમાં જોડાવવા માટે તૈયાર બેઠા છે. વાડ પર બેઠેલા આ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાવવા માટે સમયની રાહ જોઈ રહ્યા છે.