અમદાવાદ: પ્રદેશ BJP ના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ સુરતમાં તેમની સામે થયેલી અરજીના મામલે પક્ષના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે અને જ્યાં સુધી તે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેઓને પક્ષની અન્ય જવાબદારીઓમાંથી મુક્ત કરવા માટે માંગણી કરી છે. માહિતી મુજબ સુરતમાં તેમની સામે કોઈએ દુષ્કર્મ અંગેની અરજી કરી છે. જેના લીધે તેમણે આ પગલું ભર્યું છે.
પ્રદેશ BJP ના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર પાઠવીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાને પક્ષની અન્ય જવાબદારીઓમાંથી પણ મુક્ત કરવા માટે વિનંતી કરી છે.
પક્ષની અન્ય જવાબદારીઓમાંથી પણ મુક્ત કરવા પ્રદેશ પ્રમુખને કરી વિનંતી
જયંતી ભાનુશાળીએ પોતાનું રાજીનામું આપ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે, મારા વિરુદ્ધમાં સુરતમાં કોઈએ અરજી આપી છે. તેના કારણે મારા ઉપર કોઈ કાવતરું કે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું મને દેખાય રહ્યું છે. આથી મારા દિલને થયું કે મારા ઉપર કરાયેલી અરજીમાં મને તથા કુટુંબના લોકો ઉપર ખોટા આક્ષેપો થયા છે.
આથી આ મામલે સંપૂર્ણ તટસ્થ તપાસ થાય તેવું હું સામેથી માંગણી કરીને જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી હું કોઈ પદ રહી શકું નહીં તેવી મારી અંગત લાગણી છે. એટલું જ નહીં, આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી વિનંતી પણ કરી છે.
ખંડણી મામલે પકડાયેલી મહિલાએ વેર્યા હતા વટાણા
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહીને જ પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીના ભત્રીજાની કઢંગી વિડિયો ક્લિપ ઉતારીને રૂપિયા 25 લાખની ખંડણી ઉઘરાવવાના કેસમાં પોલીસે મુખ્ય મહિલા આરોપી મનીષા ગૌસ્વામીની ધરપકડ કરી હતી.
ખંડણી કેસમાં પકડાયેલી મનીષાએ પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા. અને તેણીએ જણાવ્યું હતું કે, જયંતિ ભાનુશાળી સાથે 10 વર્ષ અગાઉ ઓળખાણ થઈ હતી અને તેમની બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. આ સંબંધો માત્ર છ વર્ષ સુધી ચાલ્યા હોવાનું પણ તેણીએ પોલીસની સમક્ષ જણાવ્યું હતું.
તેણીએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે. છેલ્લા ચાર વર્ષથી મનમેળ ન હોવાથી સંબંધો રહ્યા નથી. પરંતુ રૂપિયાની જરૂર હોવાથી જયંતીભાઈ પાસે રૂપિયા માંગ્યા હતા. જે અંગે જયંતી ભાનુશાળીએ આંગડિયા મારફત રૂપિયા 25 લાખ મોકલાવ્યા હતા. પરંતુ વધુ રૂપિયાની જરૂર પડતા વધુ પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. અને બંને વચ્ચે રાજીખુશીથી સમાધાન થયું હતું અને બાંહેધરી પણ લેવામાં આવી હતી.
આ ઘટના બાદ ફરી એક વખત સુરતમાં જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મના મામલે અરજી કરવામાં આવી છે. જેના કારણે તેમણે પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના બહુચર્ચિત એવા નલિયા કાંડમાં પણ જયંતિ ભાનુશાળી સામે પણ છાંટા ઉડ્યા હતા.
આમ જયંતી ભાનુશાળી સામે એક પછી એક વિવાદો ઉભા થઈ રહ્યા છે. જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં ઘેરાયેલા રહ્યા છે.
ખંડણી કેસ અંગે પકડાયેલી મહિલાનું આ ષડયંત્ર હોય શકે: જયંતી ભાનુશાળી
આ મામલે જયંતી ભાનુશાળીનો સંપર્ક કરવામાં આવતા તેમણે મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે, સુરત ખાતે કોઈ છોકરીએ મારા સામે દુષ્કર્મના મામલે અરજી કરી છે. જેના સંદર્ભમાં મેં મારી નૈતિક જવાબદારી સમજીને પક્ષના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. જયારે પક્ષની અન્ય જવાબદારીઓમાંથી પણ મુક્ત કરવા માંગણી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિઓ મારી સામે ષડયંત્ર રચી રહ્યું છે. થોડા સમય અગાઉ મારા ભત્રીજાને બદનામ કરવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હતી. જે અંગે પોલીસ દ્વારા મનીષા નામની મહિલાની ધરપકડ પણ કરી હતી. મને લાગે છે કે, મહિલા દ્વારા સુરત ખાતેથી અન્ય કોઈ છોકરી મારફત આ અરજી કરાવી હોવાનું માનું છે. આથી જ્યાં સુધી તટસ્થ તપાસ પૂર્ણ ન થઈ જાય અને દૂધનું દૂધ સાબિત ન થાય ત્યાં સુધી મેં રાજીનામું આપીને પક્ષની જવાબદારીઓમાંથી મુક્ત કરવા કહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ત્રણ મહિના અગાઉ મેં પોલીસ મથકોમાં અરજી કરી હતી કે કોઈ મારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે જેના કારણે મારી વિરુદ્ધ એક ય બીજા પ્રકારની ફરિયાદો થશે.