રાજ્યમાં વિજય રુપાણી સરકારના ગઠન બાદ થોડાક દિવસોના અંતરમાં મંત્રીમંડળની ફાળવણીને લઇ મંત્રીઓની નારાજગી બાદ તેઓને મનાવી લેવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમ ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી બાદ રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી પોતાને એક જ ખાતું મળવાને કારણે રીસામણાં થયા હતા. ત્યારબાદ ગુરુવારે અંતે નારાજ થયેલાં મંત્રી પરષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ તેમની નારાજગીનો ‘સુખરૂપ’ અંત આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરષોતમ સોલંકીએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મારી ખાતાની ફાળવણીને લઇને સીએમ વિજય રૂપાણી સાથે મારે ચર્ચા થઇ હતી .મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, વિધાનસભા સત્ર પુરૂ થયા પછી મને સારૂ ખાતુ મળશે. મને CM પર વિશ્વાસ છે કે તેઓ કોળી સમાજને ન્યાય આપશે”.
મહત્વનું છે કે, આ અગાઉ પોતાને મળેલાં ખાતાઓના કારણે નારાજ થયેલાં રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીએ બુધવારે મળેલી કેબીનેટની મીટીંગમાં હાજરી નહોતી આપી. અને રાજ્યમાં ભાજપની સરકાર બન્યા પછી મળી રહેલી મંત્રીમંડળની મીટીંગમાં ગેરહાજર રહીને પરષોત્તમ સોલંકીએ પોતાની નારાજગી સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે.
જો કે ત્યારબાદ પરષોતમ સોલંકીએ કેબિનેટ બેઠકમાં હાજર નહી રહેવા અંગે કારણ વ્યક્ત કર્યું છે. સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હોવાનું કારણ દર્શાવીને પરષોતમ સોલંકી મંત્રીમંડળની મીટીંગમાં ગેરહાજર રહ્યાં છે. દરમિયાન ગાંધીનગર સ્થિત પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના અનેક લોકો ભેગા થતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.