અમદાવાદ: સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં 20 વર્ષથી ચેરમેનપદે બિરાજતા જયંતિ ઢોલને હટાવીને તેના સ્થાને ગોપાલ શિંગાળાને બિનહરિફ બેસાડવામાં આવ્યા છે. જેના કારણે ગત વિધાનસભા વખતની ચૂંટણીથી ચાલ્યો આવતો ખટરાગ ઉડીને સામે આવી ગયો છે.
સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે છેલ્લા 20 વર્ષથી ભાજપના અગ્રણી એવા જયંતિ ઢોલ કાર્યરત હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનપદના અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થતાં આજે જયંતિ ઢોલને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જયારે તેમના સ્થાને ભાજપના ગોપાલ શિંગાળાને માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે અઢી વર્ષની મુદત પૂરી થતાં જ પક્ષ દ્વારા જયંતિ ઢોલને રિપીટ કરવામાં આવ્યા ન હતા. પરંતુ તેમના સ્થાને નવા ચેરમેન તરીકે ગોપાલ શિંગાળાની બિનહરિફ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. જયંતિ ઢોલ છેલ્લા 20 વર્ષથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકહથ્થુ શાસન ચલાવી રહ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનપદેથી જયંતિ ઢોલની વિદાય અને નવા ચેરમેન તરીકે ગોપાલ શિંગાળાની નિમણૂકને પગલે રાજકોટ જિલ્લાના સ્થાનિક ગોંડલના રાજકારણમાં આગામી દિવસોમાં કઈંક નવા-જૂની થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિ ઢોલ અને સ્થાનિક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ખટરાગ ચાલતો હોવાથી ભાજપ દ્વારા તેમને ફરીથી ચેરમેન બનાવવામાં આવ્યા નથી. આમ જોઈએ તો સ્થાનિક ભાજપમાં ચાલતા આંતરિક ખટરાગના કારણે જયંતિ ઢોલે માર્કેટ યાર્ડમાં છેલ્લા 20 વર્ષથી ચાલતા પોતાના એકહથ્થું શાસનને ગુમાવવાનો વારો આવ્યો છે.
જયંતિ ઢોલ અને પક્ષ વચ્ચે ખટરાગ ક્યાંથી શરુ થયો ?
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જયંતિ ઢોલ ઘણા સમયથી ભાજપની સ્થાનિક નેતાગીરીથી નારાજ હતા. અને ભાજપના સ્થાનિક નેતાગીરી સાથેનો તેમનો વિખવાદ સપાટી પર આવી ગયો હતો. કારણ કે, ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોંડલ વિધાનસભાની બેઠક માટે જયંતિ ઢોલે પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ તેને ટિકિટ આપવામાં આવી ન હતી જેના લીધે જયંતિ ઢોલ સ્થાનિક ભાજપની નેતાગીરીથી નારાજ થયા હતા.
જયરાજસિંહને કેમ ટિકિટ અપાઈ ન હતી?
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે જયંતિ ઢોલ તરફથી કરાયેલી ટિકિટની માંગણીને પક્ષ દ્વારા ઠુકરાવી દેવામાં આવી હતી. પક્ષ દ્વારા જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપવામાં આવી હતી અને ગીતાબા આ બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા. આમ ગોંડલની ટિકિટને લઈને જયંતિ ઢોલના સ્થાનિક ભાજપના નેતાઓ સાથેના સંબંધો ખરાબ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જયંતિ ઢોલ પણ હત્યા કેસમાં આરોપી હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલના નીલેશ રૈયાણીની ગોળી મારી હત્યા કરવાના કેસમાં હાઈકોર્ટ દ્વારા તત્કાલિન ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહીત ત્રણ આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. જયારે આ જ કેસમાં આરોપી એવા જયંતિ ઢોલ, અશોક પીપળિયા અને સમીર પઠાણ સહીત 13 આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
ચેરમેન બન્યા બાદ ગોપાલ શિંગાળા આવું કહ્યું
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે બિનહરિફ ચૂંટાયા પછી ગોપાલ શિંગાળાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “જે રીતે શાંતિ અને સલામત રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો વહિવટ ચાલતો હતો તેવી જ રીતે તેનો વહીવટ ચાલતો રહેશે. જયરાજસિંહ જાડેજા, ડિરેક્ટરો અને જયંતિ બાપાના આશીર્વાદથી હું આજે અહી ચેરમેન પદે બેઠો છું. પક્ષમાં કોઈ વાદ-વિવાદ કે વિખવાદ નથી.”