રાજકોટ,
અમદાવાદ, સુરત અને ભાવનગર બાદ શુક્રવારે રાજકોટના નવા મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્ની અંજલીબેન રૂપાણીની નજીક ગણાતા બીનાબેન આચાર્યને મેયર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડે. મેયર તરીકે અશ્વિન મોલીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મુખ્યમંત્રીની નજીક ગણાતા ઉદય કાનગડની નિમણૂક કરવામાં આવી છે.
કહીં ખુશી કહીં ગમ
રાજકોટમાં મેયર પદની જાહેરાત કરતા એક તરફ ખુશી તો બીજી તરફ ગમ જોવા મળ્યો હતો. રાજકોટમાં મેયર પદ ન મળતાં રૂપાબેન શીલુ ભાવુક થઇ ગયા હતાં. રૂપાબેન શીલુની આંખમાં આંસુ આવી ગયા હતાં.
રૂપાબેન શીલુએ ભાવુક થતા કહ્યું હતું કે હું વર્ષોથી કામ કરું છું એટલે લાગણી થઈ હતી. પરંતુ પાર્ટીનો નિર્ણય મને આવકાર્ય છે. પાર્ટીમાં અનુભવી હોવા છતાં પાર્ટીએ મેયર પદની જવાબદારી ના આપી.
રૂપાબેન ભાવુક થઇ જતા ત્યાં ઉપસ્થિત લોકોએ તેઓને શાંત કર્યા હતાં. રૂપાબેન ચાલુ મિટિંગમાંથી ઉભા થઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા.