જામવંથલી,
જામનગરથી ૨૮ કિલોમીટર દૂર આવેલા જામવંથલી ગામમાં એક વૃદ્ધે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાને મંગળવાર સાંજે પાંચ વાગે લેવા આવશે અને દેહત્યાગ કરશે તેવો સંકેત આપ્યો છે. ત્યારે આ વાત વાયુવેગે સૌરાષ્ટ્ર પંથકમાં ફેલાઇ જતા ભાવિકોના ઘોડાપૂર જામવંથલી ગામે ઉમટી રહ્યા છે.
બીજી બાજુ મંગળવાર સાંજ પડતા ભગવાન પોતાને લેવા આવશે એવો દાવો કરનાર આ ભક્તની તબિયત નાદુરસ્ત થયા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
આ વાત ફેલાયા બાદ જાણે જામવંથલી ગામમાં ઉત્સવનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વૃદ્ધ મિલેટ્રીમેન છે અને તેઓ ૧૬ વર્ષ સુધી ફરજ બજાવી ચુક્યા છે. આ ગામમાં જ આવેલા શ્રી કૃષ્ણનારાયણનું પરમધામ ફૂલવાડી મંદિર આવેલું છે. તેઓ આ મંદિરના ટ્રસ્ટી હતા.
ભગવાન કૃષ્ણ મને તેડવા આવી રહ્યા હોય તેઓએ મંદિરના ટ્રસ્ટીપદેથી રાજીનામું પણ આપી દીધું છે. ભગવાન લેવા આવશે કે નહીં તેને લઇને લોકોમાં પણ ભારે ઉત્કંઠા છે. બીજી બાજુ હાલ જામવંથલી ગામમાં પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હરીલાલભાઇ વેલજીભાઇએ જણાવ્યું હતું કે, “આ મંદિરમાં છેલ્લાં ૨૧ વર્ષથી સેવા આપતા પરમ ભક્ત અને ટ્રસ્ટીને શ્રી કૃષ્ણનારાયણ ભગવાન તેઓને ખુદ તેડવા આવશે તેવો સંકેત ખુદ ભગવાને ચારેક મહીના પહેલાં તેઓને આપ્યો હતો”.
તેઓના જણાવ્યા મુજબ તા. ૨૪ એપ્રિલના રોજ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સાંજે ૫ કલાકે તેડી જશે તેવી આસ્થા તેમણે વ્યક્ત કરી છે. ભગવાને ખુદ આવી તેડવાનો સંકેત આપતા હરીલાલભાઇએ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે.
મૂળ જામવણથલીના હરીલાલભાઇ રાજકોટ, મુંબઇ અને ત્યારબાદ બહેરીન સ્થાયી થયા હતાં. જ્યાં તેઓએ ૧૬ વર્ષ મીલ્ટ્રીમાં ફરજ બજાવી હતી. ત્યાર પછી તેઓ જામવંથલી આવી મંદિરમાં સેવા આપી રહ્યા છે. શ્રીકૃષ્ણનારાયણ ભગવાન ખુદ તેડવા આવવાની હરિલાલભાઇએ આસ્થા વ્યક્ત કરતા નાનકડા ગામમાં શ્રધ્ધાના ધોડાપૂર અને મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે હવે હોવાનું રહ્યું કે સાંજે ૫ વાગ્યે કે ત્યારબાદના સમયે હરીલાલનો આ દાવો કેટલો સાચો રહે છે.