અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ફરી એક વખત પાટીદારો મેદાનમાં આવ્યા છે. આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝાના ઉમિયા માતા મંદિર સુધીની 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના 12 હજારથી વધુ પાટીદારો જોડાયા હોવાનો દાવો ‘પાસ’ દ્વારા કરવામાં આવ્યો હતો. સાંજે પાટીદાર સદભાવના પદયાત્રા ઊંઝા ખાતે આવી પહોંચી હતી. પદયાત્રાના સ્વાગત માટે તમામ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જય ઉમા, જય ખોડલના નાથ સાથે ઊંઝા ગુંજી ઉઠ્યું હતું.
પાટીદારોની આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું હતું અને યાત્રા દરમિયાન ૩૦૦ જેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનો સાથેની બેઠકમાં આપવામાં આવી હતી.
સવારે 8 વાગે પાટણના મોતીશા દરવાજા સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડી પદયાત્રાનો આરંભ થયો હતો. યાત્રા સાંજે પાંચ વાગે ઊંઝા પહોંચી હતી. જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકવામાં આવી હતી. આ અગાઉ બપોરે 12-30 વાગે બાલીસણા ગામે ભોજન વિરામ લઈ રવાના થઈ હતી. રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવી હતી.
આ યાત્રાને લઇ મોટી સંખ્યામાં પાટીદાર યુવકો મુંડન કરાવવાના હોઇ રાજકીય માહોલ ગરમાયો હતો. યાત્રામાં ‘જય સરદાર જય પાટીદાર’ અને ‘જય જવાન જય કિસાન’ના નારા ગૂંજી ઉઠ્યા હતા. રૂટમાં આવતા વીરપુરુષોના સ્ટેચ્યૂને પુષ્પાંજલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી મોટી પદયાત્રાના આયોજનને સફળ બનાવવા પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ગામેગામ બેઠકો યોજવામાં આવી હતી. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો યાત્રામાં જોડાયા હોવાનું પાસ કન્વીનર હાર્દિક પટેલે (અડિયા) જણાવ્યું હતું.