રાજપીપલા,
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંર્પણ કરી ભાવવંદના કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવી પહોંચતા જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું, ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેઓએ મ્યુઝીયમમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ રસપૂર્વક નિહાળ્યું હતું, ત્યારબાદ સરદાર સાહેબના જીવન ચરિત્ર અંગેની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. તેમણે મ્યુઝીમયના લાઇબ્રેરી સહિતના અન્ય વિભાગોની પણ મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
જો કે ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંર્પણ કરી રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી. તેમણે સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીમાંથી નિર્માણ પામેલ વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી.
ઉપરાષ્ટ્રપતિએ આ મુલાકાત દરમિયાન માધ્યમકર્મીઓ સાથે સંવાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજની આ મુલાકાતથી તેઓશ્રી ખુશી વ્યક્ત કરી પોતાને ધન્ય મહેસુસ કરી રહ્યાં હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલની આ ૧૮૨ મીટરની ઉંચી પ્રતિમા એક એકીકૃત ભારત અસ્તિવમાં લાવવા માટેના તેઓના દ્રષ્ટિકોણ અને સંકલ્પનું સ્મારક છે.
તેઓ સરદાર પટેલ સાહેબના બાળપણી ચાહક રહ્યાં છે અને તેઓના અભ્યાસકાળથી જ સરદાર સાહેબને ઇતિહાસમાં ઉચિત સ્થાન મળવું જોઇએ તેવી ભાવના રહેલી હતી અને તેમના મંત્રીપદના કાર્યકાળ ઉપરાંત વિવિધ રાજકીય હોદ્દાઓના કાર્યકાળ દરમિયાન પણ સરદાર સાહેબ માટે કંઇક કરવું જોઇએ તેવી ભાવના સતત ગુંજ્યા કરતી હતી, તેને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાંથી ખેડૂતો પાસેથી ખેત ઓજારોનું લોખંડ એકત્ર કરીને અહીં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાનું સ્મારક સ્વરુપે નિર્માણ કરતાં ઉક્ત ભાવનાને પરિપૂર્ણ કરી છે, જે અવિસ્મરણીય બની રહેશે.
તેઓએ કહ્યું હતું કે, આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ આધુનિક ભારતના નિર્માણ માટેની સરદાર પટેલની દ્રષ્ટિ, હિંમત, ક્ષમતા અને યોગદાનનું અનુસ્મારક છે. ખરા અર્થમાં, તે આપણા દેશમાં ઐતિહાસિક વૃત્તાંત રજૂ કરવામાં રહી ગયેલા અસંતુલનને સુધારવાનો એક માર્ગ છે. આ ઐતિહાસિક પ્રતિમા આવનારા સમયમાં, સરદાર પટેલે ભારતને એકીકૃત કરવા માટે કરેલા સંઘર્ષ વિષે તેમજ આપણા દેશની આ એકતા અને એકીકરણને જાળવી રાખવાની જરૂરિયાતની યાદ અપાવતી રહેશે.
આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલ ખેડૂત પરિવારમાંથી આવતા હતા અને બ્રિટીશરોની શોષણકારી નીતિઓ સામે ઘણા ખેડૂત આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. દ્રઢ નિર્ધાર, સખત મહેનત અને સંકલ્પ, જે ખેડૂતોની છાપ છે અને કુદરતની અનિયમિતતા સાથે તેમની અનંત લડાઇમાં સ્પષ્ટ દેખાય પણ છે, જેના કારણે સરદાર પટેલ આધુનિક ભારતને એકીકૃત કરવામાં સફળ રહ્યા. આપણા બધા માટે એ ગૌરવની વાત છે કે એક ખેડૂત એકીકૃત આધુનિક ભારતનો શિલ્પી છે.
ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન નર્મદા નિગમના જોઇન્ટ એમ.ડી.શ્રી સંદીપકુમાર, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદારશ્રી અને નર્મદા યોજના પુનર્વસન કમિશનરશ્રી આઇ.કે. પટેલ, નિગમના ટેકનીકલ ડિરેક્ટરશ્રી નાદપરા, જનરલ મેનેજરશ્રી સંજય જોશી, મુખ્ય ઇજનેરશ્રી પી.સી. વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.