અમદાવાદ: Gujarat માં શુક્રવારથી વરસાદનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આ પ્રારંભિક વરસાદમાં વીજળી પડતાં બે વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની વિગતો સાંપડી છે. જેમાં વાંકાનેરના પીપળિયા ગામે વીજળી પડતાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા, જયારે દાહોદના ઝાલોદ ખાતે વીજળી પડતાં એક પરિણીતાનું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ શનિવારે દક્ષિણ ગુજરાતના વલસાડથી થયો હતો. વરસાદની સિઝનના પ્રારંભમાં જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આઠ કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જયારે ડાંગ અને સુરત જિલ્લામાં પણ વરસાદે પોતાની ઉપસ્થિતિ દર્શાવવા એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ શહેર, સાવરકુંડલા, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો, ઉના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
આ દરમિયાન રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પીપળિયા ગામે કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો. આ દરમિયાન ગામની સીમમાં બેસેલા વિશ્વરાજસિંહ જાડેજા પુષ્પરાજસિંહ જાડેજા નામના બે કિશોરો પર વીજળી પડી હતી. જેના કારણે આ બંને કિશોરોના મોત નીપજ્યા હતા. આ બંને કિશોરો ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહ્યા હતા. આ બંને કિશોરોના મોતથી નાનકડા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
જયારે બીજી તરફ દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાએ આગમન કર્યું હતું. આ દરમિયાન દાહોદ જિલ્લાના ઝાલોદના ખરસોડા ગામે પોતાના ઘરના ફળિયામાં બેસીને પતિ-પત્ની વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા હતા. ત્યારે અચાનક વીજળી તૂટી પડી હતી. જેના કારણે બાવીસ વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે દાઝી ગયેલા પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.