અમદાવાદ: ભગવાન શ્રી કૃષ્ણની સાથે સંકળાયેલ બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી એવા પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી સહિતના સદસ્યોએ ટ્રસ્ટીમંડળમાંથી રાજીનામાં આપી દીધા છે. જેના કારણે બેટ દ્વારકાધીશ મંદિરના વહીવટમાં ચાલતા વિવાદના લીધે ટ્રસ્ટીમંડળ વચ્ચેનો આંતર કલહ બહાર આવી ગયો છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા અને બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર સાથે જોડાયેલું છે. અહીના બેટ દ્વારકા સ્થિત બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ દેવસ્થાન સાથે જોડાયેલા એવા બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટની સાથે વરસોથી જોડાયેલા અએવા પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, અગ્રગણ્ય ઉદ્યોગપતિ વજુભાઈ પાબારી અને મોટાભાઈ તરીકે પ્રચલિત એવા દ્વારકાદાસ રાયચુરાઅએ ટ્રસ્ટીપદેથી પોતાના રાજીનામાં આપી દીધાં છે. જેના કારણે ચર્ચાનો એક નવો દોર શરુ થયો છે.
આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના અમુક ટ્રસ્ટીઓ અને રાજીનામું આપી દેનારા ત્રણેય ટ્રસ્ટીઓ વચ્ચે કોઈ સુમેળ ન હતો. જેના કારણે નાની નાની બાબતોમાં શરુ થયેલી ચણભણ વધીને અસંતોષના ચરુમાં પરિણમી હતી અને છેલ્લે આ મામલો રાજીનામાં સુધી પહોંચી ગયો હતો. આ ત્રણેય ટ્રસ્ટીઓએ બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટ સમિતિના પ્રમુખ રોહિત મહેતાને આપેલા રાજીનામા પાછળ અંગત વ્યસ્તતા હોવાનું જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેટ-દ્વારકા મંદિરના વહીવટ અંગે છેલ્લા કેટલાય સમયથી નાના મોટા અનેક વિવાદો ચાલી રહ્યા છે. જેમાં એક એવી વિગત બહાર આવી છે કે, છેલ્લા પાંચ દાયકાથી કોઈ પણ કારણ વિના ભગવાન દ્વારકાધીશને ધરાવવામાં આવતા રત્ન અને હીરા જડિત ઝવેરાતો તેમજ સોનાના આભૂષણો અમદાવાદના એક લોકરમાં રાખવામાં આવ્યા છે.
આજથી એક દાયકા અગાઉ ટ્રસ્ટીમંડળમાંથી રાજીનામું આપનાર વજુભાઈ પાબારીએ વર્ષો પૂર્વે લોકરમાં રાખવામાં આવેલા આ ઝવેરાતો અને આભૂષણોને અમદાવાદના લોકરમાંથી કાઢીને સ્થાનિક તિજોરીમાં લઈ આવવા માટેનો ઠરાવ પણ કર્યો ચતો. પરંતુ આ માત્ર કાગળ પર જ રહી ગયો હતો.
ત્રણ મહિના અગાઉ બેટ- દ્વારકામાં મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી તેમાં પણ ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેના અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વર્ષો અગાઉ અમદાવાદના લોકરમાં મૂકી દેવામાં આવેલા ઝવેરાતો અને આભૂષણોને લાંબા સમયથી કોઈ ભક્તોએ તો ઠીક, ટ્રસ્ટીઓ અને ખુદ ભગવાને પણ તેના દર્શન કર્યા નથી. ત્યારે એવો સવાલ ઉપસ્થિત થાય છે કે, ભગવાન દ્વારકાધીશના આ ઝવેરાતો અને આભૂષણો ખરેખર લોકરમાં છે કે કેમ?
આ સંજોગોમાં ટ્રસ્ટી મંડળ દ્વારા તાકીદે અને વહેલી તકે આ મામલે ખુલાસો કરવો જોઈએ નહિ તો ટ્રસ્ટી મંડળ પર રહેલો ભાવિકો અને શ્રદ્ધાળુઓની આસ્થા તૂટતા જરા પણ વાર નહિ લાગે.